નવી દિલ્હીઃ ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ભારતીય સેના, વાયુસેના અને નૌસેનાએ મળીને 6-7 મેની મધ્ય રાત્રિએ પાકિસ્તાન અને પાકિસ્તાની કબજાવાળું કાશ્મીર (POJK) વિસ્તારમાં આવેલાં નવ આતંકવાદી ઠેકાણાં નષ્ટ કરી નાખ્યાં છે. આ ઠેકાણાં લશ્કર-એ-તૈયબા, જયેશ-એ-મોહમ્મદ અને હિજબુલ મુજાહિદ્દીન જેવાં આતંકવાદી સંગઠનોના હતા અને આશરે 900 આતંકવાદીઓને નિશાન બનાવતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
સોફિયા કુરેશીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વિશ્વસનીય માહિતીને આધારે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 2008ના મુંબઈના આતંકવાદી હુમલાનું કાવતરું પણ આ વિસ્તારમાં જ રચાયું હતું. કર્નલ સોફિયાએ જણાવ્યું કે સામાન્ય નાગરિકોને કોઈ હાનિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને ફક્ત આતંકવાદી તત્ત્વોને જ નિશાન બનાવવામાં આવ્યાં હતા.
नेस्तनाबूद के 9 सबूत! #OperationSindoor pic.twitter.com/4vvvqmP339
— BJP (@BJP4India) May 7, 2025
કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન સિંદૂર વિશે વિગતો આપી. તેમણે જણાવ્યું હતું કે 6-7 મેની રાત્રે 1:05 થી1:30 સુધી ચાલેલા ઓપરેશનમાં કુલ નવ આતંકવાદી કેમ્પને નષ્ટ કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જો પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો તેનો જડબાતોબ જવાબ આપવામાં આવશે. ભારત સરકારે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઓપરેશનમાં પાકિસ્તાન અને તેના કબજાવાળા કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યાં છે જ્યાંથી ભારત પર હુમલાની યોજના ઘડવામાં આવતી હતી. બીજી તરફ, પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે આ એરસ્ટ્રાઈકને “કાયરતાપૂર્ણ” કહ્યો છે.
કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું કે નિર્દોષ પ્રવાસીઓ અને તેમના પરિવારજનોને ન્યાય આપવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું. છેલ્લા ત્રણ દાયકાથી પાકિસ્તાનમાં આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વ્યસ્થિત નિર્માણ કરવામાં આવ્યું હતું, જે પાકિસ્તાન અને પીઓકે બંને વિસ્તારોમાં ફેલાયેલું છે. ઉત્તર તરફ સવાઈ નાલા અને દક્ષિણ તરફ બહાવલપુરમાં આવેલા પ્રખ્યાત તાલીમ કેમ્પોને પણ નિશાન બનાવવામાં આવ્યા.
