અમદાવાદ: શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે અત્યાધુનિક આશ્રય સ્થાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. દાતાઓના સહયોગથી મળેલા 1 કરોડના દાનથી આ વાતાનુકૂલિત આશ્રય સ્થાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. 1200 એકરમાં ફેલાયેલ આ આશ્રય સ્થાનમાં 600 અબોલજીવો રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુરુજી અર્જુનભાઈ દેસાઈ (શ્રી સધીમાં મંદિર, રંગપુર ધામ, તા.માણસા), અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા તથા અતિથિ વિશેષ તરીકે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડો. ગિરીશ શાહ, પાંજરાપોળ સંસ્થાના સહાયક પૂર્વ સાંસદ સોમાભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ પટેલ, મિતલ ખેતાણી તેમજ વિરમગામ ખોડા ઢોર પાંજરાપોળ સંસ્થાના ટ્રસ્ટીઓ તથા સાથી ટીમ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે અમદાવાદમાં પ્રથમવાર વિવિધ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એનિમલ એમ્બ્યુલન્સને અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન અને એલીસબ્રીજ વિસ્તારનાં ધારાસભ્ય અમિતભાઈ શાહ દ્વારા આવકારવામાં આવી હતી. જેનો હેલ્પલાઇન નંબર 91529 90399 છે.
સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહે આ પ્રસંગે જણાવ્યુ હતું કે સંસ્થાને સ્વાવલંબી બનાવવા માટેના તમામ કાર્યો કરવામાં આવ્યા છે. આ જમીનમાં આવેલા તળાવો ઊંડા કરી, તેમજ વરસાદી પાણીનો વ્યવસ્થિત સંગ્રહ થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેથી અબોલ જીવો માટે સમગ્ર વર્ષ દરમિયાન પીવાના તેમજ વાપરવાના પાણીની અછત ઉભી ન થાય. સંસ્થાની જગ્યામાં જ કુદરતી ઘાસ ઉગાડીને 2300 અબોલ જીવોને સાતા આપવાનું કાર્ય સંસ્થા દ્વારા થઇ રહ્યું છે. આ સિવાય 5000થી પણ વધુ દેશી વૃક્ષો ઉગાડીને અબોલજીવો માટે નૈસર્ગિક વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં પ્રથમ અને સમગ્ર દેશની 15મી પશુ-પક્ષીને ઉપયોગી થાય તેવી એમ્બ્યુલન્સ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ એમ્બ્યુલન્સ સેવામાં સ્થળ ઉપર જ ડોક્ટર દ્વારા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી શકાય તેવી તમામ સુવિધાઓથી સજ્જ છે. જેમ કે ઓપરેશન થિયેટર, એનેસ્થેસિયા, ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન કોન્સન્ટ્રેટર, ઇન્જેક્શન રાખવા માટે ફ્રીઝ અને દવાઓ, ગીઝર અને ફાયર સેફ્ટી સાધનો ઉપલબ્ધ છે. આ એમ્બ્યુલન્સ સેવાનો લાભ શહેરીજનો હેલ્પલાઇન નંબર 91529 90399 દ્વારા શહેરના કોઈ પણ ભાગમાં લઈ શકશે.
