કોઈ પણ સાંસદને નિયમોનો ભંગ કરીને બોલવાનો અધિકાર નથીઃ ઓમ બિરલા

નવી દિલ્હી: લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ નામંજૂર થયા બાદના બીજા દિવસે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે સભા નિયમોને આધારે ચાલે છે અને કોઈને પણ નિયમોનું ઉલ્લંઘન કરીને બોલવાનો અધિકાર નથી. જ્યારે સભામાં મર્યાદાઓ તૂટે છે ત્યારે કડક નિર્ણય લેવા પડે છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને અન્ય સાંસદોના આરોપો અંગે તેમણે કહ્યું હતું કે કેટલાક સભ્યોએ આરોપ લગાવ્યો હતો કે નેતાઓને બોલતા અટકાવવામાં આવે છે, પરંતુ સભામાં વડા પ્રધાન હોય કે વિરોધ પક્ષના નેતા — તમામ સાંસદોને નિયમો અનુસાર બોલવાની મંજૂરી આપવામાં આવે છે. વિરોધ પક્ષના નેતા કોઈ પણ વિષય પર બોલી શકે છે, પરંતુ તે કોઈ વિશેષ અધિકાર નથી. સભા નિયમોથી જ ચાલે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે પણ જનહિતનો મુદ્દો ઉઠાવવો હોય — ભલે તે વડા પ્રધાન હોય કે કોઈ મંત્રી — નિયમ 370 હેઠળ સ્પીકરની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે.

સંસદમાં આજે શું ખાસ?

આ દરમિયાન સંસદમાં રાજકીય હલચલ પણ તેજ બની છે. લોકસભા સ્પીકર વિરુદ્ધ પ્રસ્તાવ પર ચર્ચા બાદ હવે વિરોધ પક્ષ મુખ્ય ચૂંટણી પંચના પ્રમુખ જ્ઞાનેશકુમાર સામે મહાભિયોગ લાવવાની તૈયારીમાં છે.

તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વ હેઠળ વિરોધ પક્ષ ગુરુવારે નોટિસ આપવાની તૈયારી કરી રહ્યો છે, જેમાં લોકસભાના 120 અને રાજ્યસભાના 60 સભ્યોના હસ્તાક્ષર મળી ચૂક્યા છે. વિરોધ પક્ષનો આરોપ છે કે પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના વિશેષ ગહન પુનરીક્ષણ (SIR) દરમિયાન ભારે અનિયમિતતાઓ થઈ છે અને તે આવનારી વિધાનસભા ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે.જો આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવશે તો દેશના ઇતિહાસમાં પહેલી વાર કાર્યરત મુખ્ય ચૂંટણી પંચના પ્રમુખ સામે મહાભિયોગ પ્રક્રિયા શરૂ થશે.