નીતિશ કુમાર અને તેજસ્વી યાદવે રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત

લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી દળોને સાથે લાવવાનો પ્રયાસ કરી રહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર બુધવારે (12 એપ્રિલ) કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને મળ્યા હતા. આ બેઠકમાં બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, બિહાર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહ, જેડીયુ પ્રમુખ લલન સિંહ અને બિહાર સરકારના મંત્રી સંજય ઝા પણ હાજર હતા. મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિના સંદર્ભમાં અને આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષી પાર્ટીઓને કેવી રીતે એકજૂથ કરવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતિશ કુમારને કેટલીક પાર્ટીઓ સાથે વાતચીત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

રાહુલ ગાંધીએ શું કહ્યું?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષને એક કરવા માટે ખૂબ જ ઐતિહાસિક પગલું લેવામાં આવ્યું છે, તે એક પ્રક્રિયા છે. વિપક્ષ દેશ માટે જે વિઝન ધરાવે છે તે અમે વિકસાવીશું. અમે તમામ વિપક્ષી પાર્ટીઓને સાથે લઈ જઈશું અને લોકશાહી અને દેશ પર થઈ રહેલા હુમલા સામે અમે સાથે મળીને લડીશું.

સાથે મળીને કામ કરીશું
નીતિશ કુમારે કહ્યું કે હવે મામલો ખતમ થઈ ગયો છે. અમે લાંબા સમયથી ચર્ચા કરી છે. દેશભરમાં વધુને વધુ પક્ષોને એક કરવાના પ્રયાસો કરવા પડશે. અમે ભવિષ્યમાં સાથે મળીને કામ કરીશું તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આજે અમે અહીં ઐતિહાસિક બેઠક કરી હતી અને ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. અમે તમામ (વિરોધી) પક્ષોને એકજૂથ કરવાનો અને આગામી ચૂંટણીઓ એક થઈને લડવાનો નિર્ણય લીધો છે.

નીતીશ કુમાર વિપક્ષી પાર્ટીઓને સાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોને અગાઉ અનેકવાર હાથ મિલાવવાની સલાહ આપી છે. નીતીશ કુમારે તાજેતરમાં કહ્યું હતું કે જો કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ 2024ની લોકસભા ચૂંટણી એકજૂથ થઈને લડશે તો ભાજપ 100થી ઓછી સીટો પર આવી જશે.