PMએ કોરોનાના ત્રીજા ડોઝને ‘પ્રિકોઝન ડોઝ’ કેમ કહ્યો?

નવી દિલ્હીઃ ઓમિક્રોન વેરિયેન્ટના વધતા સંક્રમણમને જોતાં વડા પ્રધાન મોદીએ હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરની સાથે-સાથે 60 વર્ષની ઉપરના સિનિયર સિટિઝનોને સાવચેતી સ્વરૂપે રસીનો ત્રીજો ડોઝ આપવાની ઘોષણા કરી છે. વિશ્વમાં બે ડોઝ પછી લાગતા ત્રીજા ડોઝને બુસ્ટર ડોઝ કહેવામાં આવી રહ્યો છે તો વડા પ્રધાને એને પ્રિકોઝન ડોઝ કેમ કહ્યો?

વાસ્તવમાં રસીના પહેલા ડોઝને પ્રાઇમરી કહેવામાં આવે છે. પહેલા ડોઝ વાઇરસની ઓળખ કરીને એની સામે એન્ટિબોડી બનાવે છે. જોકે એ જળવાઈ રહે એટલે એ પછી બીજો ડોઝ આપવામાં આવે છે. જોકે રસીની ઇમ્યુનિટી છથી આઠ મહિના પછી ઓછી થઈ જાય છે, એટલે એ ઇમ્યુનિટીને બુસ્ટ કરવા માટે ત્રીજો ડોઝ આપવામાં આવે છે. જોકે વડા પ્રધાન મોદીએ બુસ્ટર ડોઝને પ્રિકોઝન ડોઝ કહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે બંનેમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કોઈ ફરક નથી, પણ વડા પ્રધાને સંબોધનમાં જે ઉલ્લેખ કર્યો છે કે કોરોના વોરિયર્સ, હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સે કોરોના સામેની લડાઈમાં દેશને સુરક્ષિત રાખવા માટે તેમનું મોટું યોગદાન છે. બંનેમાં મેડિકલ દ્રષ્ટિએ કોઈ અંતર નથી, બુસ્ટર કહો કે પ્રિકોશન ડોઝ- બંને ઇમ્યુનિટીમાં વધારો કરશે.

કોવિડ નિષ્ણાત અને ILBS હોસ્પિટલના ડિરેક્ટર એસ. કે. સરીને કહ્યું હતું કે જ્યાં સુધી ઓમિક્રોનનું સંક્રમણ વધુ પ્રમાણમાં ફેલાય અને એ ડોક્ટરોને સંક્રમિત કરે એ પહેલાં ત્રીજો ડોઝ લાગી જવો જોઈએ. નવા વર્ષના પ્રારંભમાં રસી લાગી જાય તો સારું થશે.