શું છે કોરોના? તેના લક્ષણો અને બચવાના ઉપાયો જાણો

નવી દિલ્હીઃ નોવેલ કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. વિશ્વ આખામાં આ મહામારીએ પોતાનો કહેર વરસાવ્યો છે. આ વાયરસ ફેલાવાની શરુઆત ચીનથી થઈ હતી. તો ચીનના વુહાન શહેરમાં આનો સૌથી વધારે પ્રકોપ જોવા મળ્યો. આ સિવાય જાપાન, થાઈલેન્ડ, સિંગાપુર અને હવે તો ભારતમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. આ વાયરસ ઝડપી ફેલાવાના કારણે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ચીનથી આવનારા યાત્રીઓની તપાસને ચુસ્ત કરી છે અને વધારી દીધી છે. આવો જાણીએ, કોરોના વાયરસ શું છે? ક્યાંથી આવ્યો? કઈ રીતે ફેલાય છે? અને તેને પહોંચી વળવાના શું છે ઉપાયો?

શું છે આ વાયરસ?

WHO અનુસાર કોરોના વાયરસનો સંબંધ સી-ફૂડ સાથે છે. કોરોના વાયરસની ખતરનાક વાત એ છે કે આ વાયરસ ઉંટ, બિલાડી અને ચામાચીડિયા સહિત અન્ય પણ ઘણા જાનવરોમાં પ્રવેશ કરી રહ્યો છે. કોરોના વાયરસ સતત લોકોને ભરડામાં લઈ રહ્યો છે. જો કે બહુ ઓછા કેસ એવા જોવા મળ્યા છે કે જેમાં આ પશુઓથી માણસોમાં ફેલાયો હોય.

હકીકતમાં કોરોના વાયરસ(સીઓવી) વાયરસના એક મોટા પરિવારનો સભ્ય છે કે જેના કારણે સામાન્ય શરદીથી લઈને એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ જેવી બિમારીઓ થઈ રહી છે પરંતુ અત્યારસુધી ચીનમાં અનેક લોકોના જીવને ભરખી જનારો આ વાયરસ અલગ પ્રકારનો છે કે જેને પહેલા ક્યારેય જોવામાં આવ્યો નથી.

કોરોના વાયરસ કેવી રીતે ફેલાય છે?

WHO ના જણાવ્યા અનુસાર, એવાતની પૂરી શક્યતાઓ છે કે આ વાયરસ માણસો દ્વારા એકબીજાને ફેલાયો છે. સીઓવી વાયરસની સૌથી મોટી પ્રજાતિ છે, જેના કારણે સામાન્ય શરદીથી લઈને મિડલ ઈસ્ટ રિસ્પિરેટરી સિન્ડ્રોમ અને સીવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ જેવી ગંભીર બિમારીઓ થઈ શકે છે.

કોરોના વાયરસના લક્ષણો

કોરોના વાયરસના લક્ષણોને સમજવા જરુરી છે. આ વાયરસ મનુષ્યની કિડનીને નુકસાન પહોંચી શકે છે. સામાન્ય રીતે કોરોના વાયરસના લક્ષણ ન્યુમોનિયા જેવા હોઈ શકે છે. આમાં શરદી, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને તાવ જેવા લક્ષણો દેખાય છે. આના ચેપી લોકોમાં શ્વાસ સાથે જોડાયેલી સમસ્યાઓ, તાવ, શરદી અને ઉધરસ છે. વધારે ગંભીર મામલાઓમાં ચેપના કારણે ન્યુમોનિયા, સીવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ, કિડની ફેઈલ થઈ જવી અને મૃત્યુ પણ થઈ શકે છે.

કોરોનાથી બચવાના ઉપાયો

એવા લોકોના સંપર્કમાં ન આવશો કે જેમને આ વાયરસ છે અથવા તેના લક્ષણો છે.

બીજી સૌથી જરુરી વાત એ છે કે સી-ફૂડ ક્યારેય ન ખાશો.

આ સિવાય પોતાને વાયરસથી દૂર રાખવા માટે હાઈજીનનું સંપૂર્ણ ધ્યાન રાખો. સેનિટાઈઝરનો ઉપયોગ કરો.

જ્યારે ઘરેથી બહાર નિકળો ત્યારે માસ્ક પહેરીને જ નિકળો.