અમૃતપાલસિંહને ભાગેડૂ જાહેર કરાયો

જલંધરઃ શીખ કટ્ટરવાદી અને ‘વારિસ પંજાબ દે’ સંગઠનના વડા અમૃતપાલસિંહની ધરપકડ કરવા માટે આજે બીજા દિવસે પણ પંજાબ પોલીસ દ્વારા વ્યાપક ખોજ કરવામાં આવી રહી છે. વહીવટીતંત્રએ એને ભાગેડૂ જાહેર કર્યો  છે.

જલંધર શહેરના પોલીસ કમિશનર કુલદીપસિંહ ચહલે પત્રકારોને જાણકારી આપી છે કે અમૃતપાલસિંહને ભાગેડૂ જાહેર કરવામાં આવ્યો છે. એ જલંધરમાંથી ભાગ્યો હતો એટલે સર્ચ ઓપરેશન હાલ સમગ્ર જિલ્લામાં કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અમૃતપાલસિંહ કારમાં જતો હતો ત્યારે એને પકડવા માટે પોલીસે એની કારનો પીછો કર્યો હતો, પણ એ છટકવામાં સફળ થયો હતો.