કોરોના સંક્રમિતોની સંખ્યા 33 લાખને પારઃ 24 કલાકમાં સૌથી વધુ 75,760 નવા કેસ  

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 75,760 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1023 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 33,10,234 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 60,472 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 25,23,771 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 7,25,991 પહોંચી છે. રિકવરી રેટ વધીને 76.29 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.83 ટકા થયો છે.

વિશ્વમાં 24 કલાકમાં 2.71 લાખ નવા કેસવિશ્વમાં કોરોના વાઇરસનો પ્રકોપ જારી છે. વિશ્વમા પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના નવા 2.71 લાખ નવા કેસો નોંધાયા છે અને 6308 લોકોનાં મોત થયાં છે. વિશ્વમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2.43 કરોડે પહોંચી છે. અમેરિકામાં પાછલા 24 કલાકમાં 43,000થી વધુ કેસો નોંધાયા છે અને 1275 લોકોનાં મોત થયાં છે.

ચાર કરોડથી વધુ લોકોનાં ટેસ્ટિંગ કરાયાં

દેશમાં સંક્રમિતોની સંખ્યા વધવાનું કારણ એ પણ છે કે ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થયો છે. ICMR ના આંકડા અનુસાર 26 ઓગસ્ટે દેશમાં 9,24,998 લાખ લોકોની કોરોનાની તપાસ કરવામાં આવી હતી. દેશમાં 26 ઓગસ્ટ સુધી આશરે કુલ ચાર કરોડ લોકોનાં સેમ્પલ ટેસ્ટિંગ થઈ ચૂક્યા છે. પોઝિટિવિટી રેટ 8.19 ટકા થયો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.