નીતિ આયોગે આ અભિનેત્રીની પ્રશંસા કેમ કરી?

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના સમયગાળામાં ડોક્ટર્સ, નર્સીસ, સફાઈ કર્મચારીઓ, પોલીસ અને પત્રકારો સહિત તમામ લોકો પૂરેપૂરી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી રહ્યા છે, પણ આ લડાઈમાં કેટલાક લોકો એવા છે કે જેઓ મેડિકલ ક્ષેત્ર સાથે સંબંધ નથી ધરાવતા, છતાં દેશની સેવા કરવા માગે છે અને પોતાનું યોગદાન આપવા માગે છે. આ લોકોમાં અભિનેત્રી શિખા મલહોત્રા પણ સામેલ છે, જે સંકટના સમયમાં પોતાની સેવા આપી રહી છે અને કોરોના વાઇરસના દર્દીઓની સેવામાં જોતરાયેલી છે. હવે નીતિ આયોગે ટ્વિટર પર શિખાની ભૂમિકાની પ્રશંસા કરી છે.

નીતિ આયોગે ટ્વિટર પર શિખા મલ્હોત્રાનો ફોટો શેર કરતાં લખ્યું હતું કે એક સ્વયંસેવકના રૂપમાં શિખા મલ્હોત્રાની નિઃસ્વાર્થ સેવા કોરોના રોગચાળામાં નવી આશા, આત્મશક્તિનો સંદેશ આપી રહી છે.

શિખા મલ્હોત્રા 27 માર્ચથી મુંબઈના જોગેશ્વરી સ્થિત હિન્દુ હ્દયસમ્રાટવાળા બાળા સાહેબ ઠાકરે ટ્રોમા કેર હોસ્પિટલના કોરોના આઇસોલેશન વોર્ડમાં નર્સિંગ અધિકારી તરીકે કામ કરી રહી છે. શિખા અભિનયના વિશ્વમાં આવતાં પહેલાં એક વ્યાવસાયિક નર્સ હતી અને કોવિડ-19નો પ્રકોપ શરૂ થતાં તેમણે પોતાની ટ્રેનિંગનો લાભ લેતાં અને દર્દીઓની સેવા કરવાનું પ્રણ લીધું હતું.