કેન્દ્રની અગ્નિપથ યોજનાને મુસ્લિમ બુદ્ધિજીવીઓ ટેકો આપશે

લખનઉઃ અગ્નિપથ યોજનાને ટેકો આપવા માટે હવે મુસ્લિમ બુદ્ધિજીવીઓનું એક ગ્રુપ ઊતરી આવ્યું છે. તેઓ યુવાનોની ગેરસમજણને દૂર કરવા માટે એકસાથે આવી રહ્યા છે. આ યોજનાની સામે વિવિધ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન શરૂ થયાં છે. આ ગ્રુપે મૌલવીઓને કહ્યું હતું કે જુમ્માની નમાજ માટે આવતા યુવાનોને અપીલ કરે કે આ તકનો લાભ લે અને સશસ્ત્ર દળોમાં સામેલ થઈને દેશની સેવા કરે.

એસોસિયેશન ઓફ મુસ્લિમ પ્રોફેશન્લ્સ (AMP)ના બેનર હેઠળ ગ્રુપે કહ્યું હતું કે જુમ્માની નમાજથી પહેલાં પહેલ શરૂ થશે. તેમણે કહ્યું હતું કે અમે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાનો પણ અન્ય લોકોની જેમ ટેકો આપીએ છીએ. અમારો સંદેશ વિવિધ શહેરોમાં મસ્જિદોના પ્રસિદ્ધ મૌલવીઓ અને ઇમામો દ્વારા યોગ્ય મુસ્લિમ યુવાઓ સુધી પહોંચાડવામાં આવશે. એ માટે શુક્રવારની નમાજથી પહેલાં તેમના દ્વારા એક ખાસ અપીલ કરવામાં આવશે.

 અમે સોશિયલ મિડિયાનો સહારો લઈ રહ્યા છે અને સેનામાં નોકરીની તકો શોધી રહ્યા છે. મુસ્લિમ યુવાઓનું માર્ગદર્શન કરવાના પ્રયાસ કરી રહ્યા છે, એમ AMPના સંરક્ષક શાહિદ કામરાને કહ્યું હતું.