પતંજલિના ડેરી બિઝનેસના CEO સુનીલ બંસલનું નિધન

હરિદ્વારઃ યોગગુરુ રામદેવની પતંજલિ સંસ્થા પણ કોરોના વાઇરસની ચપેટમાં આવી ગઈ છે. સંસ્થાના ડેરીના કામકાજના CEO સુનીલ બંસલનું પણ કોરોનાથી નિધન થયું છે. 57 વર્ષના સુનીલ બંસલ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા.  તેઓ શરદી અને તાવથી પીડિત હતા. તેમની તબિયત વધુ બગડવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 19 મેએ સારવાર દરમ્યાન તેમને બ્રેઇન હેમરેજ થયું હતું અને તેમનું મોત થયું હતું.

ડેરી વિજ્ઞાનના સ્પેશિયલિસ્ટ સુનીલ બંસલે વર્ષ 2018માં બાબા રામદેવની સંસ્થા પતંજલિ આયુર્વેદના ડેરી વેપારનો કાર્યભાર સંભાળ્યો હતો. એ સમયે કંપનીએ પેકેજ્ડ દૂધ, દહીં, છાસ અને પનીર સહિત દૂધનાં અન્ય ઉત્પાદનોને વેચવાની યોજના જાહેર કરી હતી.

સુનીલ બંસલે છેલ્લા કેટલાક દિવસો પહેલાં ECMO પર રાખવામાં આવ્યા હતા. ECMO અથવા એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજનેશન મશીન પર દર્દીને ત્યારે રાખવામાં આવે છે, જ્યારે તેનું હ્દય અને ફેફસાં કામ કરવાનાં બંધ કરી દે છે.