ડેબિટ કાર્ડ વગર એટીએમમાંથી પૈસા કાઢી શકાશે

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસે આજે જાહેરાત કરી છે કે બેન્ક એકાઉન્ટ ધારકો ડેબિટ કાર્ડ વગર પણ એટીએમમાંથી એમના ખાતામાંથી પૈસા કાઢી શકશે. કાર્ડલેસ કેશ વિથડ્રોઅલ સુવિધા બધી બેન્કોમાં લાગુ કરવામાં આવનાર છે. આ સુવિધા યૂનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યૂપીઆઈ) મારફત ઉપલબ્ધ કરાશે. હાલ માત્ર અમુક જ બેન્કોમાં આ સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ ટૂંક સમયમાં જ યૂપીઆઈનો ઉપયોગ કરતી દેશભરની બધી બેન્કો અને એટીએમ નેટવર્ક પર આ સુવિધા ઉપલબ્ધ થશે.

આ સુવિધાથી સોદાઓ કરવામાં સરળતા વધશે અને ફિઝિકલ કાર્ડ સાથે રાખવાની જરૂરિયાત ન રહેવાથી કાર્ડમાંની વિગતો વાંચી લેવા અને કાર્ડની નકલ કરવા જેવી છેતરપીંડીઓ રોકવામાં પણ મદદ મળશે. ગ્રાહકોએ જો કાર્ડલેસ કેશ વિથડ્રોઅલ સેવાનો ઉપયોગ કરવો હોય તો એમણે એટીએમમાંથી રોકડ રકમ કાઢતી વખતે એમના ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાની જરૂર નહીં રહે. તેઓ એમના મોબાઈલ ફોન દ્વારા પૈસા મેળવી શકશે. એ માટે મોબાઈલ બેન્કિંગ એપનો ઉપયોગ કરવાનો રહેશે. ગ્રાહક પાસે જો એનું ડેબિટ કાર્ડ ન હોય તો તેણે એટીએમ મશીન પર રોકડ રકમ કાઢવા માટે વિનંતી દર્શાવવાની રહેશે. આ સુવિધામાં મોબાઈલ ફોનના PINના ઉપયોગથી રોકડ કાઢવામાં આવતી હોવાથી એટીએમ છેતરપીંડીના બનાવ ઘટી જશે.