કોલકાતા મામલે શુવેન્દુ અધિકારીએ માગ્યું મમતા બેનરજીનું રાજીનામું

કોલકાતાઃ કોલકાતાની RG કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટરની સાથે કથિત બળાત્કાર અને હત્યાના વિરોધમાં દેશભરમાં ડોક્ટરોએ અનિશ્ચિત હડતાળ પરત નહીં લેવાનો નિર્ણય કર્યો છે અને વિરોધ-પ્રદર્શન જારી રાખવાનો નિર્ણય કર્યો છે. ડોક્ટરો RG કરથી આરોગ્ય ભવન સુધી વિરોધ માર્ચ કાઢી રહ્યા છે. પશ્ચિમ બંગાળના વિપક્ષના નેતા શુવેન્દુ અધિકારીએ કહ્યું હતું કે અમે મમતા બેનરજીનું રાજીનામું ઇચ્છીએ છીએ. તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. તેમણે વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. દરમ્યાન RG કર કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ CBI સમક્ષ હાજર થયા હતા. આ પહેલાં CBIએ દાવો કર્યો હતો કે તેઓ દરેક રાઉન્ડમાં તેમના જવાબ માગી રહ્યા છે. તેમની મુશ્કેલીમાં વધારો થયો છે, કેમ કે ભૂતપૂર્વ ઉપ અધિક્ષક અખ્તર અલીએ ભૂતપૂર્વ પ્રિન્સિપાલ પર લાંચ, બાયોમેડિકલ અપશિષ્ટ તસ્કરી અને વિદ્યાર્થીઓથી જબરદસ્તી વસૂલીનો આરોપ લગાવ્યો હતો.

RG કર કોલેજના બળાત્કાર અને હત્યા મામલામાં મુખ્ય આરોપી સંજય રોયનો પોલિગ્રાફ ટેસ્ટ હજી પણ લટકેલો છે, કેમ કે હજી તેની સહમતીની જરૂર છે. બારનો કોઈ વકીલ તેનું પ્રતિનિધિત્વ કરવા તૈયાર નથી, જેને કારણે તેના કેસમાં એક કાનૂની સહાયતા વકીલની નિમણૂક કરવામાં આવ્યો છે.

છત્તીસગઢના ઉપ CM અરુણ સાવે કહ્યું હતું કે કોલકાતા મેડિકલ કોલેજમાં થયેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે અને આ ઘટના પછી રાજ્ય સરકાર અને CM મમતા બેનરજીની ભૂમિકા નિંદનીય છે.