યશવંત સિન્હાએ BJP સાથે છેડો ફાડ્યો, કહ્યું મારી લડાઈ ચાલુ રહેશે

નવી દિલ્હી- ઘણા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીથી નારાજ જણાઈ રહેલા વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાંપ્રધાન યશવંત સિન્હાએ આખરે BJP છોડવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. યશવંત સિન્હાએ કહ્યું કે, ‘ભારતીય જનતા પાર્ટી સાથેના મારા તમામ પ્રકારના સંબંધો પર હું પૂર્ણવિરામ લગાવું છું’. હું આજથી જ પાર્ટી રાજકારણમાંથી સંન્યાસ લઈ રહ્યો છું.પોતાના નિર્ણય અંગે જણાવતાં યશવંત સિન્હાએ કહ્યું કે, ‘લોકતંત્ર ખતરામાં છે. જેથી હું રાજનીતિમાંથી સંન્યાસ લઈ રહ્યો છું’. ઉલ્લેખનીય છે કે, નોટબંધી અને GST લાગુ કરવાને લઈને પણ યશવંત સિન્હાએ મોદી સરકાર સામે મોરચો ખોલ્યો હતો. આપને જણાવી દઈએ કે, યશવંત સિન્હાના પુત્ર જયંત સિન્હા નરેન્દ્ર મોદી સરકારમાં પ્રધાન છે.

યશવંત સિન્હાએ આ વર્ષે 30 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રમંચ નામથી નવા સંગઠનની સ્થાપના કરી હતી. ત્યારે સિન્હાએ જણાવ્યું હતું કે, આ સંગઠન બિનરાજકીય હશે અને કેન્દ્ર સરકારની જનવિરોધી નીતિઓને લોકો સમક્ષ રજૂ કરશે. આજે અનેક વિપક્ષી દળોના નેતાઓ સાથે બેઠક કર્યા બાદ યશવંત સિન્હાએ આખરે BJP છોડવાની જાહેરાત કરી છે.