સનાતન ધર્મનું અપમાનઃ હિન્દૂ સંતોએ દિલ્હીમાં ઉદયનિધિ, અન્ય નેતાઓનાં પૂતળા બાળ્યા

નવી દિલ્હીઃ સનાતન ધર્મનું અપમાન કરવા બદલ હિન્દૂ સંતોએ આજે અહીં તામિલનાડુ ભવન નજીક જોરદાર દેખાવો કર્યા હતા અને ડીએમકે પાર્ટીના ઉદયનિધિ સ્ટાલિન તથા અન્ય નેતાઓના પૂતળા બાળ્યા હતા.

દેખાવકાર સંતોએ ઉદયનિધિને ટેકો આપતા નિવેદનો કરીને સનાતન ધર્મનું અપમાન કરનાર રાજકીય નેતાઓ વિરુદ્ધ નારા પણ લગાવ્યા હતા. આ સંતો દિલ્હી સંત મહામંડલના બેનર હેઠળ એકત્ર થયા હતા. તેઓ સરોજિની નગરમાં એક મંદિરથી તામિલનાડુ ભવન સુધી કૂચ કરીને ગયા હતા. દિલ્હી સંત મહામંડલના પ્રમુખ નારાયણગિરિ મહારાજે કહ્યું કે તામિલનાડુના મુખ્ય પ્રધાન સ્ટાલિને એમના પ્રધાન-પુત્ર ઉદયનિધિએ સનાતન ધર્મના કરેલા અપમાન બદલ માફી માગવી જોઈએ.