રેલવે દ્વારા 58 વંદે ભારત ટ્રેનોની લિલામીની પ્રક્રિયા શરૂ

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટમાં વંદે ભારત ટ્રેનો અને મેક ઇન ઇન્ડિયા થીમને લઈને મોટી જાહેરાતો કરવામાં આવી હતી. નાણાપ્રધાને બજેટમાં કહ્યું હતું કે સરકાર ત્રણ વર્ષોમાં 400 વંદે ભારત ચલાવવાની યોજના પર કામ કરી રહી છે. નવી મેટ્રો રેલ માટે ઇન્નોવેટિવ ફન્ડિંગ કરવામાં અને ત્રણ વર્ષમાં 100 ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ બનશે. હવે સરકાર વંદે ભારતથી સંબંધિત ઘોષણા પર કામ શરૂ થતું દેખાઈ રહ્યું છે.

આ વર્ષે 75 વંદે ભારત ટ્રેનો દોડશે, જેને તબક્કાવાર લોન્ચ કરવામાં આવશે. આ પહેલા તબક્કામાં 58 ટ્રેનો શરૂ કરવા માટે એની લિલામી થશે. આ લિલામી માટે દેશની મશહૂર કંપનીઓએ બોલી લગાવવામાં રસ દાખવ્યો છે. આગલા મહિને નાણાકીય ટેન્ડર મગાવવામાં આવે એવી શક્યતા છે અને એની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

આ લિલામી પ્રક્રિયામાં ટિટાગર વેગન, મેધા એન્જિનિયરિંગ અને ભેલે પણ રસ દાખવ્યો છે, એમ આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું. આવતા મહિનાના મધ્ય ભાગ સુધી નાણાકીય બીડિંગ શરૂ થાય એવી શક્યતા છે. જોકે આ બધી યોજનાઓ મેક ઇન ઇન્ડિયાની થીમ પર લાગુ કરવામાં આવશે. હાલના સમયે બે વંદે ભારત ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.

રેલવેને એક રેક બનાવવાનો ખર્ચ રૂ. 100 કરોડ આવે છે, જેથી એમાં ખાનગી કંપનીઓની ભાગીદારી વધારવામાં આવશે.