તેલંગણા વિધાનસભા ચૂંટણી: ચિરંજીવી, અઝહરુદ્દીન, એનટીઆર જૂનિયરે મતદાન કર્યું

હૈદરાબાદઃ 2014માં આંધ્ર પ્રદેશમાંથી અલગ થઈને નવા રાજ્ય બનેલા તેલંગણામાં 119-સભ્યોની વિધાનસભા ચૂંટણીમાં આજે મતદાનનો દિવસ છે. સુરક્ષાના કડક બંદોબસ્ત હેઠળ સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો હતો, જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. 106 મતવિસ્તારોમાં મતદાનનો સમય સવારે 7થી સાંજે પાંચ વાગ્યા સુધીનો રહેશે જ્યારે નક્સલવાદી હિંસાગ્રસ્ત 13 મતવિસ્તારોમાં સાંજે ચાર વાગ્યે મતદાન પ્રક્રિયા સમાપ્ત કરી દેવાશે. રાજ્યમાં 3.26 કરોડ મતદારો રજિસ્ટર્ડ થયા છે. ચૂંટણીમાં 2,290 ઉમેદવારોએ ઝૂકાવ્યું છે. રાજ્યમાં છેલ્લી બે મુદતથી કે. ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળના ભારત રાષ્ટ્ર સમિતિ (અગાઉના તેલંગણા રાષ્ટ્ર સમિતિ) પક્ષનું શાસન છે. આ વખતે કોંગ્રેસ, ઓવૈસીની આગેવાની હેઠળની AIMIM અને ભાજપા તરફથી લડત છે.

સવારે વહેલા જઈને મતદાન કરનાર નામાંકિત વ્યક્તિઓમાં તેલુગુ અભિનેતો ચિરંજીવી, અલ્લૂ અર્જુન, એન.ટી.આર. જૂનિયર તથા ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનો સમાવેશ થાય છે.