વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાષ્ટ્રજોગ સંબોધન બાદ આજે પંજાબના આદમપુર એરબેઝની મુલાકાત લીધી, જ્યાં તેમણે વાયુસેનાના જવાનો સાથે વાતચીત કરી. વહેલી સવારે એરબેઝ પહોંચેલા મોદીએ જવાનો પાસેથી વર્તમાન સ્થિતિની માહિતી મેળવી. એક વાયરલ તસવીરમાં મોદી MiG-29 વિમાન સામે ઊભેલા જોવા મળ્યા, જેના પર લખેલું સ્લોગન હતું, “દુશ્મનોના પાયલોટ કેમ આરામથી ઊંઘી શકતા નથી.” આ મુલાકાતે પાકિસ્તાનના દાવાને ખોટો સાબિત કર્યો, જેમાં તેઓએ આદમપુર ખાતે S-400 એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ કરવાનો દાવો કર્યો હતો. PM મોદીના VIP વિમાને આદમપુરમાં સફળ લેન્ડિંગ કરી, પાકિસ્તાનના દાવાને પોકળ સાબિત કર્યો.
પહલગામમાં 22 એપ્રિલના આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધરી, 7 મેના રોજ પાકિસ્તાન અને PoKમાં 9 આતંકી ઠેકાણાં નષ્ટ કરી, લગભગ 100 આતંકવાદીઓનો સફાયો કર્યો. જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાને 9-10 મેની રાત્રે ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા, જે ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા. DGMO અનુસાર, પાકિસ્તાનની PL-15 મિસાઈલ અને તુર્કીના ડ્રોન સહિત અન્ય UAVs ને તોડી પાડવામાં આવ્યા.
ગઈકાલે રાષ્ટ્રજોગ સંબોધનમાં મોદીએ સેનાના સાહસની પ્રશંસા કરી અને દેશભરમાં તિરંગાયાત્રા યોજવાની જાહેરાત કરી, જે ભારતીય સેનાના બહાદુરીભર્યા પરાક્રમને સમર્પિત છે.
