સહુ પોતપોતાનાં-ઘરમાં તિરંગો ફરકાવજોઃ PM-મોદીની નાગરિકોને અપીલ

નવી દિલ્હીઃ આવતી 15 ઓગસ્ટે ભારત દેશ તેની આઝાદીનો 75મો વાર્ષિક દિન – સ્વાતંત્ર્યદિવસ ઉજવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનાં લોકોને આજે અપીલ કરી છે કે તેઓ આવતી 13-15 ઓગસ્ટ વચ્ચેના દિવસોએ પોતપોતાનાં ઘરમાં રાષ્ટ્રીય ધ્વજને ફરકાવીને કે દર્શાવીને ‘હર ઘર તિરંગા’ ઝુંબેશને મજબૂત બનાવે.

પીએમ મોદીએ શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને જણાવ્યું છે કે આ ઝુંબેશ આપણને તિરંગા સાથે વધારે ગાઢ બનાવશે. આ વર્ષે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યાં છીએ તો ચાલો આપણે હર ઘર તિરંગા ઝુંબેશને વધારે મજબૂત બનાવીએ. 13મી અને 15મી ઓગસ્ટની વચ્ચે સહુ પોતપોતાનાં ઘરમાં તિરંગો ફરકાવે અથવા દર્શાવે. મોદીએ એ વાતની નોંધ લીધી છે કે 1947ની 22 જુલાઈના જ દિવસે ભારત દેશે રાષ્ટ્રધ્વજ અપનાવ્યો હતો.