વાસ્તુ: શું તમારા ઘરનું મુખ્યદ્વાર દક્ષિણ દિશામાં છે?

માણસનું મગજ બે ભાગમાં વેચાયેલું છે એવું આપણે જાણીએ છીએ. ડાબુ મગજ લોજિક એટલે કે તર્ક અને ગણિત જેવા વિષયો સાથે જોડાયેલું છે. તો જમણું મગજ ક્રિએટિવ એટલેકે રચનાત્મક વિષયો સાથે જોડાયેલું છે. જે લોકો આ બંનેમાં પાવરધા હોય એમને મિડ બ્રેઈન માણસ કહેવાય છે. માણસનું એ મન જ એને સારા ખરાબની પરિભાષા સમજાવે છે. સારું કે ખરાબ કાર્ય કેવું હોય એ પણ પાછું માણસ પોતે જ નક્કી કરે છે. તેથી જ ગમતું કરવું જોઈએ. પણ હા, એનાથી કોઈનું નુકશાન ન થાય એ પણ જોવું જરૂરી છે. વધારે પડતી મહત્વકાંક્ષી વિચારધારા અને વધારે પડતાં વિચારો બંને નકારાત્મક પરિણામો આપે છે. તેથી જ મનમાં ખોટા વિચારો ન આવે તેની કાળજી રાખવી જોઈએ.

આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુનીયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ: મારા ઘરનું દ્વાર દક્ષિણ દિશા તરફ ખુલે છે. મને ઘણા બધા લોકો બીવડાવે છે કે આ ઘર દુ:ખી કરશે. વેંચી દેવું જોઈએ. પણ એ વેંચીને નવું ઘર લેવા જઈએ તો એટલું સારું મળતું નથી. વળી અમે આ ઘરમાં બહુ રહ્યા પણ નથી. હું અને મારા પતિ જુદા રહીએ છીએ. મને ગુસ્સો આવે છે તેથી હું ચીસો પાડું છું તો મારો દીકરો કહે છે કે હું ગાંડી થઈ ગઈ છું. મારી એક મિત્ર છે જેને તમારા જ્ઞાન થકી ખુબ જ લાભ થયો છે. એણે એવું પણ કહ્યું કે તમે દક્ષિણ દિશાને સંપૂર્ણ નકારાત્મક નથી માનતા. તમે એના પર ખુબ અભ્યાસ કર્યો છે. તો મારે હવે શું કરવું એની સલાહ આપશો.

જવાબ: ભારતીય વાસ્તુના સિદ્ધાંતો માત્ર વાસ્તુપુરૂષ પર બનાવેલા નકશા પૂરતા સીમિત નથી. એમાં ગણિત પણ છે. જ્યાં ગણિત આવે છે ત્યાં ચોક્સાઈ પણ આવે જ. સમગ્ર દક્ષિણ દિશામાં કુલ નવ પદ છે. જેના વધુ વિભાજન થઇ શકે. પણ માત્ર નવ પદની વાત કરીએ તો પણ નવે નવ પદ નકારાત્મક નથી. ચારેય મુખ્ય દિશાઓમાં એક દ્વાર તો સકારાત્મક છે જ. સૂર્યની ગતિનો અભ્યાસ કરીએ તો સૂર્ય જયારે દક્ષિણમાં હોય ત્યારે એમાં રેડીએશન વધારે હોય છે. આના કારણે વિવિધ સમસ્યાઓ ઉદ્ભવી શકે. પણ આપના ઘરનું દ્વાર સકારાત્મક પદમાં છે. જેના કારણે પદ પ્રતિષ્ઠા વધે. વૈભવ પણ વધે. હા થોડો તણાવ વધે. વળી ઉત્તરમાં ટાંકી છે અને એની નીચે ટોયલેટ છે. ઈશાનમાં શેડ છે. ઉત્તરમાં માર્જીન નહિવત છે. તમે ડોક્ટર હોવા છતાં આવું વિચારો છો? જોકે એનું કારણ પણ તમારું ઘર જ છે. મોટું ઘર અને નાનું ઘર એવું ન જોવાય.

સવાલ: હું એક બહુ જ જાણીતી વ્યક્તિ છું. અઢળક કમાણી છે. થોડા સમયથી મને બસ આસપાસના લોકોનું બધું પણ લઈ લેવાની ઈચ્છા થાય છે. આવું કેમ બન્યું હશે? મારા ઘરમાં જ એક પરિવાર સાથે મેં આવું કર્યું. એ લોકો હવે વાત પણ નથી કરતા?

જવાબ: સત્તા અને પૈસો જ્યારે અતિ સ્વરૂપે આવે ત્યારે આવું થઈ શકે છે. આપના ઘરના નૈર્ઋત્યમાં દેવસ્થાન છે. એ ત્યાંથી ઈશાન ખુણામાં લઈ લો. એ ઉપરાંત દર ગુરુવારે દત્ત બાવની વાંચો.

આજનું સુચન: ઘરની સાવ નજીક લીમડો ન વવાય.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)