J&Kમાં ઓમર અબદુલ્લાએ CMપદના શપથ લીધા, કોંગ્રેસ સામેલ નહીં

શ્રીનગરઃઆર્ટિકલ 370 દૂર કર્યા પછી કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના CM તરીકે ઓમર અબદુલ્લાએ શપથ લીધા હતા.  તેમની સાથે તેમના મંત્રીઓએ પણ શપથ લીધા હતા. નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબદુલ્લા કેન્દ્ર શાસિત રાજ્યના પહેલાં અને જમ્મુ-કાશ્મીરના બીજી વાર CM બન્યા છે.  નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર ઉબદુલ્લા શપથ લેતાં પહેલાં કોંગ્રેસે નિર્ણય લીધો છે કે પાર્ટી જમ્મુ-કાશ્મીરની ઓમર સરકારમાં સામેલ નહીં થાય. કોંગ્રેસ ઓમર સરકારને બહારથી ટેકો આપશે.

જમ્મુ-કાશ્મીરની ઓમર અબદુલ્લા સરકારમાં સામેલ થવાને બદલે કોંગ્રેસ તેને બહારથી સમર્થન આપશે. એટલે કે ઓમર અબ્દુલ્લા સરકારમાં કોંગ્રેસ તરફથી કોઈ મંત્રી નહીં હોય. સૂત્રોના જણાવ્યા અનુસાર આને માટે બે કારણો જણાવવામાં આવી રહ્યાં છે. પહેલું એ કે કોંગ્રેસને ઓમર સરકારમાં બે મંત્રી પદ જોઈતા હતા, પરંતુ માત્ર એક જ પદ આપવામાં આવી રહ્યું હતું. જેથી દબાણ ઊભું કરવા કોંગ્રેસે બહારથી સમર્થન મેળવવાનો નિર્ણય કર્યો છે.

તેનું બીજું કારણ એ હોઈ શકે છે કે કોંગ્રેસ નેતૃત્વ ઈચ્છતું નથી કે જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન અને માત્ર છ બેઠકો જીત્યા બાદ રાજ્ય એકમના મોટા નેતાઓને મંત્રીપદની ભેટ મળે. એક રીતે આ કોંગ્રેસનું રાજકીય પ્રાયશ્ચિત છે. જોકે રાજકીય એકતાનો સંદેશ આપવા માટે રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને પ્રિયંકા ગાંધી આજે ઓમર અબ્દુલ્લાના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.

કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા આજે ઓમર અબદુલ્લાના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. જોકે કોંગ્રેસે મંગળવારે શપથ ગ્રહણ સમારોહ પહેલાં સરકારમાં ન જોડાવાનો નિર્ણય કરીને સૌને ચોંકાવી દીધા છે.

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા પણ સવારે 11.30 વાગ્યે શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (SKICC)માં CM સહિત મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે.