કોરોનાનો નવો ખતરનાક વેરિઅન્ટઃ ભારતમાં તંત્ર સાબદું

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોટ્સવાનામાં કોરોનાવાઈરસ રોગચાળાના નવા વેરિઅન્ટ (8.1.1529)ના અનેક કેસો નોંધાતાં ભારતમાં તંત્રોને સતર્ક કરી દેવામાં આવ્યા છે. આ દેશોમાંથી આવતા કે ત્યાં જતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું કડક સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ કરવાનો તમામ રાજ્યોની સરકારોને આદેશ આપવામાં આવ્યો છે. કોરોનાનો આ નવો પ્રકાર ખતરનાક અને ઝડપી મ્યુટેશન્સવાળો છે – એ ખૂબ ઝડપથી ચેપ ફેલાવનારો છે. ઉલ્લેખનીય છે કે, હજી હમણાં જ ભારત સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસ નિયમો અને વિઝા નિયંત્રણોને હળવા બનાવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને પત્ર લખીને જણાવ્યું છે ઉક્ત દેશોમાંથી આવતા પ્રવાસીઓનું કડક સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવે. કોરોનાના આ નવા વેરિઅન્ટથી ભારતમાં ગંભીર જાહેર આરોગ્ય માઠી અસર પડી શકે છે.