ડીએચએફએલ રીઝોલ્યુશન પ્લાનઃ NCLATમાં આખરી સુનાવણી ૧૫-સપ્ટેમ્બરે

નવી દિલ્હીઃ ડીએચએફએલ કેસમાં પિરામલ કેપિટલના રીઝોલ્યુશન પ્લાન બાબતે NCLATએ આગામી ૧૫મી સપ્ટેમ્બરે આખરી સુનાવણી રાખી છે. આમ, ૬૩ મૂન્સ ટેક્નોલોજીસે કરેલી અપીલ બાબતે એનક્લેટ (નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ)ના છેલ્લા ચુકાદાના આધારે જ આ કેસ આગળ વધશે. એનક્લેટે ૨૩મી જુલાઈએ કરેલી ઉક્ત સ્પષ્ટતા પરથી સ્પષ્ટ થાય છે કે વચગાળામાં એ કોઈ દરમિયાનગીરી કરવા માગતી નથી.

અરજદાર ૬૩ મૂન્સે અખબારી યાદીમાં જણાવ્યા મુજબ હવે ૧૫મી સપ્ટેમ્બરે એનક્લેટનો ચુકાદો આવ્યા બાદ જ પછીની કાર્યવાહી વિશે નિર્ણય લેવામાં આવશે.

અહીં જણાવવું રહ્યું કે પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સના રીઝોલ્યુશન પ્લાનને એનસીએલટી (નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ)એ મંજૂરી આપ્યા બાદ ૬૩ મૂન્સે તેના વિરોધમાં એનક્લેટમાં અરજી કરી હતી.

પિરામલે ડીએચએફએલના ગેરરીતિપૂર્ણ વ્યવહારોમાં અટવાયેલા ૪૫,૦૦૦ કરોડ રૂપિયાની રિકવરીનું મૂલ્ય ફક્ત ૧ રૂપિયો ગણ્યું હોવાથી તેની સામે વિરોધ કરવામાં આવ્યો છે.

૬૩ મૂન્સનું કહેવું છે કે ડીએચએફએલના પ્રમોટર વાધવાન તથા અન્યોએ બેન્કો સાથે છેતરપિંડી કરીને ૪૫,૦૦૦ કરોડ રૂપિયા સગેવગે કર્યા હતા. આ રકમ કંપનીના નોન કન્વર્ટિબલ ડિબેન્ચર હોલ્ડર્સ સહિતના ક્રેડિટર્સને મળવી જોઈએ. જો એ રકમ માટે ફક્ત ૧ રૂપિયાનું મૂલ્ય ગણનાર નવા ખરીદદારને નાણાં મળી જાય તો રોકાણ માટેનું માનસ બગડશે અને ભારતમાં વેપારની સાનુકૂળતા વધારવા માટેના પ્રયાસ નિષ્ફળ જશે.