મુંબઈ એરપોર્ટ મંગળવારે છ કલાક બંધ રહેશે

મુંબઈઃ અહીંના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ચોમાસા-પૂર્વેનું જાળવણીકાર્ય તથા સમારકામ હાથ ધરવાનું હોવાથી તેને આવતીકાલે છ કલાક માટે બંધ રાખવામાં આવશે. એ દરમિયાન તમામ ફ્લાઈટ કામગીરીઓ બંધ રહેશે.

બંને રનવે – 14/32 અને 09/27ને સવારે 11 વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. તમામ એરલાઈન્સને આ વિશે ઘણી આગોતરી જાણ કરી દેવામાં આવી છે. સાંજે પાંચ વાગ્યે જાળવણીકાર્ય પૂરું થઈ ગયા બાદ બંને રનવે પર રાબેતા મુજબની ફ્લાઈટ કામગીરીઓ ફરી શરૂ કરાશે. એરપોર્ટ સત્તાવાળાઓએ તમામ વિમાનમુસાફરોને સલાહ આપી છે કે એમણે 10 મેના મંગળવારે એમની ફ્લાઈટના શેડ્યૂલ અંગે તેમની સંબંધિત એરલાઈન્સના સંપર્કમાં રહેવું, જેથી એમને કોઈ પ્રકારની અગવડતા ન પડે.