મથુરામાં કંઝાવાળા જેવી ઘટનાઃ કારે મૃતદેહ ઢસેડ્યો

મથુરાઃ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં દિલ્હીના કંઝાવાળા જેવો મામલો સામે આવ્યો છે. મથુરાના થાણા માંટ ક્ષેત્રમાં યમુના એક્સપ્રેસ-વે પર એક મૃતદેહને કેટલાક કિલોમીટર સુધી ગાડીમાં ફસાયેલો રહ્યો હતો. જ્યારે કાર માંટ ટોલ પ્લાઝા પર પહોંચી ત્યારે એક્સપ્રેસ-વેએ સુરક્ષા કર્મચારીઓની નજર કારની નીચે ફસાયેલા મૃતદેહ પર પડી. એવું કહેવાય છે કે કારમાં ફસાયેલો મૃતદેહ આશરે 11 કિલોમીટર સુધી ઢસડાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ કાર આગ્રાથી નોએડા તરફ જઈ રહી હતી.

આ કાર દિલ્હી નિવાસી વીરેન્દ્ર ચલાવી રહ્યો હતો, જેની ધરપકડ કરીને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિએ પોલીસને જણાવ્યું હતું કે તે સોમવારે રાત્રે ઘેરા ધુમ્મસમાં મુશ્કેલથી જોઈ શકતો હતો, જેથી કાર નીચે ફસાયેલા મૃતદેહ વિશે નહોતો જાણતો. સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ ત્રિગુણ બિસેને કહ્યું હતું કે ગઈ રાત્રે એક્સપ્રેસ-વે પર ગાઢ ધુમ્મસ હતું, જેને કારણે દુર્ઘટનાનો શિકાર થયેલી વ્યક્તિ કારની નીચે આવી ગઈ હતી.

પોલીસ તપાસ કરી રહી છે અને રસ્તામાં લાગેલા સુરક્ષા કેમેરાની તપાસ કરી રહી છે, જેથી એ માલૂમ કરી શકાય કે કોનું મોત થયું છે અને કેવી રીતે? આ પહેલાં દિલ્હીના કંઝવાલામાં એક જાન્યુઆરીએ સવારે અંજલિ સિંહ (20)ની સ્કૂટીને એક કારને ટક્કર મારી હતી અને યુવતીને આશરે 12 કિમી ઢસેડી હતી. આ ઘટનામાં યુવતીનું મોત થયું હતું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.