આર્ટિકલ 370: જમ્મુ-કશ્મીરમાં સોમવારથી પુન:કાર્યરત થશે સ્કૂલ-કોલેજો

શ્રીનગર- જમ્મુ-કશ્મીરમાં રાજ્યના પુનર્ગઠન અને પ્રદેશને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ 370ને દૂર કરાયા બાદ અસામાન્ય બનેલા જનજીવનની ફરી ધમધમતુ કરવાનો રસ્તો ખુલવા લાગ્યો છે. મળતી માહિતી મુજબ રાજ્ય પ્રશાસને પ્રદેશની તમામ સ્કૂલો-કોલેજો અને સરકારી ઓફિસોને સોમવારથી પૂન: કાર્યરત કરવાના નિર્દેશ જાહેર કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારી કાર્યાલય અને સચિવાલય શુક્રવારથી કામકાજ શરુ કરી દેશે. આ વચ્ચે આર્ટિકલ 370ની જોગવાઈઓને ખત્મ કરવા વિરુદ્ધ દાખલ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટે નારાજગી દર્શાવી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અરજીકર્તાને કહ્યું કે, જાણકારીની પુષ્ટી કર્યા વગર, માત્ર થોડી સુચનાઓને આધારે અરજી દાખલ કરી દેવામાં આવી છે.  માનવામાં આવી રહ્યું છે કે, સ્વતંત્રતા દિવસ દરમિયાન પ્રદેશની સ્થિતિની સમીક્ષા કર્યાબાદ પ્રશાસને આ નિર્ણય કર્યો છે.

સુપ્રીમ કોર્ટે મીડિયા પર પ્રતિબંધ હટાવવા સંબંધી અરજી પર એક વખત ફરી કહ્યું છે કે, પ્રદેશની સ્થિતિ સ્થિર કરવા માટે સરકારને થોડા સમય મળવો જોઈએ. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટેમાં જણાવ્યું કે, સુરક્ષા એજન્સીઓ દિવસેને દિવસે સ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરી રહી છે.

મહત્વનું છે કે, 5 ઓગસ્ટના રોજ જમ્મુ-કશ્મીર પરથી આર્ટિકલ 370 ખત્મ કરવા સંબંધી કેન્દ્ર સરકારના  નિર્ણય બાદ સુરક્ષાને લઈને સ્કુલ, કોલેજ, સરકારી ઓફિસ સહિત અનેક સંસ્થાઓ બંધ કરી દીધી છે. ચાંપતી સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈન્ટરનેટ અને ફોન સેવાઓ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

હવે ધીમે ધીમે આમાં ઢીલ આપવામાં આવી રહી છે. અગાઉ 10 ઓગસ્ટે જમ્મુના 5 જિલ્લાઓમાંથી કલમ 144 હટાવવામાં આવતા સ્કુલ-કોલેજોને પૂન:કાર્યરત કરવાના નિર્દેશ જાહેર કરવામાં આવ્યા હતાં.