ઈન્દોરના મંદિરમાં જમીન ધસી પડતાં વાવમાં પડી જવાથી 12 શ્રદ્ધાળુનાં મરણ

ઈન્દોર (મધ્ય પ્રદેશ): અહીંના બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં પગથિયાવાળી વાવ (બાવડી) પરની છત તૂટી પડતાં 25 જેટલાં લોકો અંદર પડી ગયાં હતાં. એમાંના ઓછાંમાં ઓછાં 12 જણનાં કરૂણ મરણ નિપજ્યા છે.

રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે મરણાંકને સમર્થન આપ્યું છે. એમણે દરેક મૃતકનાં પરિવારને રૂ. પાંચ લાખની રકમ એક્સ-ગ્રેસિયા વળતર રૂપે આપવાની જાહેરાત કરી છે. જ્યારે પ્રત્યેક ઈજાગ્રસ્તને રૂ. 50,000 આપવામાં આવશે.

બે મૃતક મહિલાને કનિકા પટેલ (32) અને પુષ્પા પટેલ તરીકે ઓળખી કાઢવામાં આવી છે. 15 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. એમને ઈજા થઈ છે અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

પટેલ નગર મોહલ્લામાં આવેલા આ મંદિરમાં આજે રામનવમી પર્વ નિમિત્તે લોકો એકત્ર થયાં હતાં. તેઓ હવન માટે જમીન પર બેઠાં હતાં ત્યારે એ જમીન ધસી પડી હતી. એ જમીન વાસ્તવમાં એક વાવ પરની છત હતી. એ તૂટી પડતાં કમનસીબ લોકો એની નીચે વાવમાં પડી ગયાં હતાં.