ભારતનું એવિએશન ક્ષેત્ર સંપૂર્ણપણે સુરક્ષિતઃ DGCA વડા

નવી દિલ્હીઃ ભારતમાં અનેક વિમાનોમાં ટેક્નિકલ ખામીઓ ઊભી થવાની ઘટનાઓ વધી ગઈ છે ત્યારે ભારતના મુલ્કી ઉડ્ડયન ક્ષેત્રનું સંચાલન કરતી નિયામિક સંસ્થા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ના ડાયરેક્ટર જનરલ અરૂણ કુમારનું કહેવું છે કે દેશનું એવિએશન સેક્ટર સંપર્ણપણ સુરક્ષિત છે. જરાય ગભરાવાની જરૂર નથી.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષથી લઈને અત્યાર સુધીમાં ભારતમાં અનેક દેશી એરલાઈન્સના વિમાનોમાં ટેકનિકલ ક્ષતિઓ ઊભી થવાની 478 ઘટનાઓ બની છે. સ્પાઈસજેટને તેના અમુક વિમાનોની કામગીરીઓ બંધ કરવાનો ડીજીસીએ તરફથી આદેશ પણ આપવામાં આવ્યો છે. અરૂણકુમારનું કહેવું છે કે જે ઘટનાઓ બની છે એ સામાન્ય પ્રકારની છે અને એવું તો બધી એરલાઈન્સ અને એમના વિમાનોના કાફલા સાથે બનતું હોય છે. છેલ્લા 16 દિવસમાં ટેક્નિકલ ક્ષતિઓના 15 કિસ્સા બન્યા છે. તમામ પર ધ્યાન આપીને એનો ઉકેલ લાવી દેવામાં આવ્યો છે.