ભારતે કેનેડાવાસીઓ માટે ઈ-વિઝા સેવા ફરી શરૂ કરી

નવી દિલ્હીઃ બે મહિના સુધી સસ્પેન્ડ રાખ્યા બાદ ભારત સરકારે કેનેડાવાસીઓ માટે ઈલેક્ટ્રોનિક-વિઝા સેવાઓ ફરી શરૂ કરી છે. બંને દેશ વચ્ચે રાજદ્વારી સંબંધોમાં કડવાશ ઊભી થયા બાદ ભારત સરકારે આ સેવા સ્થગિત કરી હતી.

કેનેડા ખાલિસ્તાની આતંકવાદીઓને આશ્રય આપે છે અને એમની ભારતવિરોધી પ્રવૃત્તિઓને ટેકો આપે છે તેની સામેના વિરોધમાં ભારતે કેનેડાવાસીઓ માટેની સેવા સ્થગિત કરી હતી. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં અજ્ઞાત વ્યક્તિઓએ હત્યા કર્યા બાદ કેનેડાની સરકારે ભારત પર દોષારોપણ કર્યું હતું. ભારતે તેનો વિરોધ કર્યો હતો અને ત્યારથી બંને દેશ વચ્ચેના સંબંધો કડવા બની ગયા હતા. ભારત સરકારે દેશમાંથી અનેક કેનેડિયન રાજદૂતોની હકાલપટ્ટી કરી હતી.

કેનેડિયન વડા પ્રધાન વર્ચ્યુઅલ G20 સંમેલનમાં ભાગ લેશે

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સમર્થન આપ્યું છે કે પોતે ભારત દ્વારા આગામી સમયમાં G20 દેશોના વડાઓના યોજાનાર વર્ચ્યુઅલ સંમેલનમાં ભાગ લેશે.