છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 909 કેસ, 34 લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ રોગચાળાથી અત્યાર સુધી 273 લોકોનાં મોત થયાં છે અને આ વાઇરસના કુલ કેસ વધીને 8,356 કેસો થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસના કેસ 909 નવા કેસ સામે આવ્યા છે અને 34 લોકોનાં મોત થયાં છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી. જોકે આ બીમારીમાંથી અત્યાર સુધી 716 લોકો સાજા પણ થયા છે.

દેશમાં કોરોના સતત વધતા સંકટને ધ્યાનમાં રાખતાં વડા પ્રધાન મોદીએ લોકડાઉન બે સપ્તાહ વધારવાના સંકેત આપ્યા હતા. દેશના કેટલાક રાજ્યોના મુક્ય પ્રધાનોએ ઓલરેડી લોકડાઉન વધારવાની જાહેરાત આ અગાઉ જ કરી દીધી છે.

વડા પ્રધાન મોદીની શનિવારે યોજાયેલી રાજ્યોના મુખ્ય પ્રધાનોની બેઠકમાં પણ મોટા ભાગના મુખ્ય પ્રધાનોએ લોકડાઉન વધારવા માટે રજૂઆત કરી હતી.

વિશ્વભરમાં કોરોના વાઇરસને કારણે 17,77,607 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે આ વાઇરસને લીધે 1,08,877 લોકોનાં મોત થયાં છે. જોકે આ રોગમાંથી 4,04,489 લોકો ઠીક પણ થઈ ચૂક્યા છે.