હરિયાણામાં અમે ત્રણે CM પદના દાવેદારઃ સુરજેવાલા

નવી દિલ્હીઃ હરિયાણા ચૂંટણીમાં ગરમાટો આવ્યો છે. કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીમાં CM પદ માટે દાવેદારી થઈ રહી છે. કોંગ્રેસમાં અત્યાર સુધી હુડ્ડા વિરુદ્ધ શૈલજાની લડાઈમાં સમાધાન નહોતું થઈ શક્યું, ત્યાં પાર્ટીના રાજ્યસભાના સાંસદ રણદીપ સુરજેવાલાએ પણ CM પદની દાવેદારી કરી દીધી છે.

તેમણે કહ્યું હતું કે અમે ત્રણે CM બનવા ઇચ્છીએ છીએ, પરંતુ એ તો હાઇકમાન્ડ નક્કી કરશે. આ બધો વિવાદ સુરજેવાલાના પુત્ર અને કૈથલથી કોંગ્રેસના ઉમેદવાર આદિત્ય સુરજેવાલાના એક નિવેદનથી શરૂ થયો હતો. આદિત્ય સુરજેવાલાએ કહ્યું હતું કે બધાની ઇચ્છા હોય છે કે તે CM બને, મારા પિતાની પણ આશા છે, એ સારી વાત છે, પરંતુ CMનો નિર્ણય પાર્ટીના હાઇ કમાન્ડ કરશે. બધા વિધાનસભ્યો જાણે છે કે પાર્ટીના હાઇ કમાન્ડ એવી વ્યક્તિને મુખ્ય મંત્રી પસંદ કરશે, જે કામ કરે અને લોકોથી જોડાયેલા હોય.

કેથલના બજારમાં પુત્ર માટે મત માગવા પહોંચેલા સુરજેવાલાએ કહ્યું હતું કે અમે ત્રણે જણ મુખ્ય મંત્રી બનવા ઇચ્છીએ છીએ, પણ હાઇકમાન્ડ નક્કી કરશે. ત્રણે એટલે- ભૂપેન્દ્ર હુડ્ડા, રણદીપ સુરજેવાલા અને કુમારી શૈલજા. પત્રકારો સાથે વાત કરતાં સુરજેવાલાએ કહ્યું હતું કે કૈથલના લોકો વિકાસ ઇચ્છે છે, એટલે કોંગ્રેસમાં આસ્થા દર્શાવીને એને ટેકો આપી રહ્યા છે.

જોકે રાજ બબ્બરે કહ્યું હતું કે હરિયાણા કોંગ્રેસનો સૌથી મોટો ચહેરો ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા છે, પરંતુ કોંગ્રેસમાં સૌથી પહેલાં રાહુલ ગાંધીનો ફેસ સામે આવે છે. જો સરકાર કોંગ્રેસની બનશે તો મારું માનવું છે કે જે વિધાનસભ્યો હશે અને હાઇ કમાન્ડનો મત હશે, એમ થશે.