આયુષ્માન ભારત યોજનામાં 38 ટકા હોસ્પિટલોમાં નથી થતી સારવાર

અમદાવાદઃ દેશમાં મોટા ભાગના લોકોની પાસે આરોગ્યનો વીમો નથી. આવામાં 2018માં મોદી સરકારે આયુષ્માન ભારત યોજના લોન્ચ કરીને WHO જેવી સંસ્થાઓની પ્રશંસા મેળવી હતી. આ યોજનામાં 10 કરોડથી વધુ પરિવારોને રૂ. પાંચ લાખનો વીમો આપવામાં આવે છે.

2018માં લોન્ચ થયેલી યોજના (PMJAY)ની હાલમાં શું સ્થિતિ છે? આ યોજનામાં ઘણી ગેરરીતિઓ માલૂમ પડી હતી. છેતરપિંડીના પણ કેસ સામે આવ્યા હતા અને આયુષ્માનનો લાભ આપતી હોસ્પિટલોનું સત્ય પણ કંઈક ઓર છે.હાલ આ યોજનામાં કુલ 55 કરોડ લાભાર્થી છે. આ યોજના માટે ગરીબ લોકોની ઓળખ 2011ની જનસંખ્યાને આધારે થાય છે. આયુષ્માન કાર્ડ માર્ચ, 2024 સુધી 34 કરોડથી વધુ લોકોને જારી થઈ ચૂક્યા છે. આ યોજનામાં કેન્દ્ર સરકાર 60 ટકા ખર્ચ ઉઠાવે છે અને રાજ્ય સરકાર 40 ટકા ખર્ચ ઉઠાવે છે. આ ઉપરાંત હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને દેશના સાત ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં કેન્દ્ર સરકાર 90 ટકા અને રાજ્ય સરકાર 10 ટકા ખર્ચ ઉઠાવે છે. વર્ષ 2018થી આ યોજના હેઠળ કુલ 72,817 કરોડનો ખર્ચ થયો છે.

સરકારની વેબસાઇટ અનુસાર આ યોજનામાં કુલ 29,220 હોસ્પિટલો સામેલ છે, જેમાંથી 6703 હોસ્પિટલો લાભ નથી આપતી. છેલ્લા છ મહિનાથી વધારાની 4487 હોસ્પિટલો લાભ નથી આપી રહી. કુલ 11,190 અથવા 38 ટકા હોસ્પિટલો આયુષ્માન યોજના હેઠળ લાભ નથી આપતી.

સરકાર જણાવે છે કે UPમાં 5506 હોસ્પિટલો છે, પરંતુ એમાંથી 2500 હોસ્પિટલોથી કોઈ લાભ નથી મળતો. એ જ રીતે રાજસ્થાનની હાલત બહુ ખરાબ છે, અહીં આ યોજના હેઠળ 1935 હોસ્પિટલો જોડાયેલી છે, જેમાંથી 1934 હોસ્પિટલ કોઈ લાભ નથી આપતી. માત્ર એક હોસ્પિટલ પર રાજસ્થાન નિર્ભર છે.

ગુજરાતમાં 2552, તામિલનાડુમાં 1881 અને આંધ્ર પ્રદેશમાં 1295માંથી હજારો હોસ્પિટલો બિનસક્રિય છે, એમ નેશનલ હેલ્થ ઓથોરિટીએ જણાવ્યું હતું. આ ઉપરાંત આ યોજનાને લઈને કુલ 37,903 ફરિયાદો નોંધાઈ હતી, પરંતુ સમયમર્યાદામાં માત્ર 3718 ફરિયાદોનો જ ઉકેલ આવ્યો હતો.

સરકારી આંકડાઓ મુજબ MPમાં એક લાખ લોકો પર માત્ર બે જ આયુષ્માનની હોસ્પિટલો છે. દેશનાં 14 રાજ્યોમાં એક લાખ લોકો પર 10 અથવા 10થી ઓછી હોસ્પિટલો છે.