ભાજપે આ રીતે લાલુ વિરુદ્ધ એક મુદ્દો ગુમાવ્યો

પટણાઃ બિહારથી રાજ્યસભામાં એનડીએના જે ત્રણ ઉમેદવાર જશે તેમના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. નીતિશ કુમારના જનતા દળ યૂનાઈટેડે હરિવંશ અને રામનાથ ઠાકુરને એકવાર ફરીથી નોમિનેટ કર્યા છે. તો ભાજપાએ બે વાર રાજ્યસભાના સભ્ય રહેલા અને વરિષ્ઠ નેતા ડો. સી.પી.ઠાકુરના દિકરા વિવેક ઠાકુરને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. જ્યાં જનતા દળ યૂનાઈટેડે બે વાર મોકલવાની પોતાની પરંપરા અંતર્ગત હરિવંશ અને રામનાથ ઠાકુરના નામોની જાહેરાત કરી અને એ તર્ક આપવામાં આવ્યો કે રાજ્યસભામાં ઉપસભાપતિનું પદ મળ્યું છે એટલા માટે હરિવંશને ફરીથી સભ્ય બનવું જરુરી છે.

તો રામનાથ ઠાકુર ન માત્ર પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરના પુત્ર છે પરંતુ પછાત વર્ગથી આવે છે જે નીતિશ કુમાર અને જનતા દળ યૂનાઈટેડના મુખ્ય વોટ બેંક છે. પરંતુ ભાજપાએ વિવેક ઠાકુરને ટીકિટ આપીને ન માત્ર તેમના પિતા ડો.સીપી. ઠાકુરને ખુશ રાખ્યા છે પરંતુ તેઓ જે જાતિ ભૂમિહારમાંથી આવે છે તેમનો પણ વિશ્વાસ જાળવી રાખવાના પ્રયત્નો કર્યા છે. પરંતુ પિતા બાદ પુત્રને ટિકીટ આપીને ભાજપાના બિહારના નેતા માને છે કે તેમણે વંશવાદનો એક મુદ્દો બિહારની રાજનીતિમાં ખાસ કરીને રાજદ વિરુદ્ધ ખોયો છે.