ગણતંત્ર દિવસ: જાણો આપણા રાષ્ટ્રીય ધ્વજની વિકાસ યાત્રા

નવી દિલ્હી: દર વર્ષની જેમ આ વર્ષે દેશમાં 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. રાજપથ પર શાનદાર પરેડ સાથે દેશવાસીઓ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોથી 71માં ગણતંત્ર દિવસની ખુશીઓ મનાવવામાં આવી રહી છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ તિરંગો એટલે કે આપણા રાષ્ટ્રીય ધ્વજની વિકાસગાથા.

1907માં પહેલા પેરિસ અને પછી બર્લિનમાં ભારતના ઝંડાને મેડમ ભીખાજી કામા અને તેમના નિર્વાસિત સાથી ક્રાંતિકારીઓ દ્વારા લહેરાવવામાં આવ્યો હતો. આ ઝંડાને કામાની સાથે વીર સાવરકર અને શ્યામજી કૃષ્ણ વર્માએ ડિઝાઈન કર્યો હતો. આ પહેલાના ઝંડા સાથે ઘણાઅંશે મળતો આવતો હતો. જોકે, એમાં ઉપરની પટ્ટીમાં સપ્તઋષિ દર્શાવતા સાત સ્ટાર્સ અને એક કમળ હતુ.

1917માં એક નવો ઝંડો સામે આવ્યો આ ઝંડાને અની બેસેન્ટ અને લોકમાન્ય તિલકે હોમ રુલ આંદોલન દરમ્યાન ફરકાવ્યો હતો. આ રીતે ઝંડામાં ત્રીજી વખત ફેરફાર કરવામાં આવ્યો. આ ઝંડામાં પાંચ લાલ અને ચાર લીલી આડી લાઈનો હતો તેની ઉપર સપ્તઋષિનું ચિન્હ રાખવામાં આવ્યું હતું.

1921માં બેઝવાડામાં આયોજીત ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટિના સત્રમાં આંધ્રપ્રદેશના એક યુવાએ ગાંધીજીને આ ઝંડો આપ્યો હતો. આ ઝંડો બે રંગોથી બનેલો હતો લાલ અને લીલો. લાલ રંગ હિન્દુઓ અને લીલો રંગ મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરતો હતો. જોકે, એ યુવકના સૂચન પછી તેમાં સફેદ લાઈન અને ચરખો પણ ઉમેરવામાં આવ્યો હતો.

1931માં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસે તિરંગાને રાષ્ટ્રીય ધ્વજના રૂપમાં સ્વીકાર કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો. કોંગ્રેસ ઔપચારિક રીતે આ ઝંડાનો સ્વીકાર કર્યો જેને એ જ વર્ષે 31 ઓગસ્ટના રોજ લહેરાવવામાં આવ્યો. 1921ના એ ઝંડામાં એટલા માટે ફેરફાર કરવામાં આવ્યો કે, કારણ કે કેટલાક લોકોએ આ ઝંડાના ધાર્મિક પક્ષને સ્વીકાર ન કર્યો. શીખ સમુદાયે કહ્યું કે, 1921ના ઝંડામાં તેમને પ્રતિનિધિત્વ આપવામાં આવે અથવા તો ઝંડામાં રહેલા ધાર્મિક રંગોને દૂર કરવામાં આવે. આ રીતે 1931માં પિંગાલી વૈંકેય્યાએ નવો ઝંડો તૈયાર કર્યો જેમાં વચ્ચે ચરખાને સ્થાન આપવામાં આવ્યું.

1947માં રાજેન્દ્ર પ્રસાદના નેતૃત્વમાં રાષ્ટ્રીય ધ્વજ નક્કી કરવામાં માટે એક કમિટીની રચના કરવામાં આવી. કમિટીએ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ઝંડાને જ રાષ્ટ્ર ધ્વજ તરીકે સ્વીકાર કર્યો. જોકે, તેમાં કેટલાક ફેરફાર પણ કર્યા. 1931માં આ ઝંડાની વચ્ચમાં રહેલા ચરખાને સ્થાને અશોક ચક્ર મૂકવામાં આવ્યું જે આજે પણ છે.

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ(બીઆઈએસ) એ ઝંડાના નિર્માણ માટે કેટલાક માપદંડ નક્કી કર્યા છે. જેના હેઠળ ધ્વજનું કાપડ, ડાઈ, કલર, દોરા અને ફરકાવવાની રીતે વગેરેનો સમાવેશ થાય છે. ભારતીય ઝંડા ખાદીના કાપડમાંથી બનાવવમાં આવે છે. આમાં બે પ્રકારની ખાદીના કાપડનો ઉપયોગ કરવામાં આવે છે.

તિરંગા સાથે જોડાયેલા કોડ ઓફ કન્ડક્ટ પણ છે. ઝંડો રાષ્ટ્રીય પ્રતિક હોય છે જેથી સામન્ય નાગરિકો ઝંડાનો યોગ્ય રીતે ઉપયોગ કરે માટે કોડ ઓફ કન્ડક્ટ બનાવવામાં આવ્યા છે.  રાષ્ટ્રીય ધ્વજમાં રહેલા ત્રણ રંગોનું અલગ અલગ મહત્વ ધરાવે છે. કેસરી રંગ સાહસ અને ત્યાગનું પ્રતિક છે, તો સફેદ રંગ ઈમાનદારી, શાંતિ અને શુદ્ધતાનું પ્રતિક છે. એ જ રીતે લીલો રંગ વિશ્વાસ, શોર્ય અને જીવનનું પ્રતિક છે. તેમજ ધ્વજમાં રહેલું અશોક ચક્ર ધર્મ અને કાયદાનું પ્રતિક છે. અશોક ચક્રમાં 24 સ્પોક્સ હોય છે અને ઝંડો 2:3ની સાઈઝમાં હોવો જોઈએ.