કોરોનાની રસી લીધા પછી આરોગ્યપ્રધાન અનિલ વિજ કોરોના સંક્રમિત

અંબાલાઃ હરિયાણાના ગૃહ અને આરોગ્યપ્રધાન અનિલ વિજ કોરોના વાઇરસ પોઝિટિવ થયા છે. તેમણે હાલમાં જ કોરોના વેક્સિનનો ડોઝ 14 દિવસ પહેલાં જ લીધો હતો. તેમને ફરીથી વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસ પછી આપવાનો હતો. તેમણે ટ્વીટ કરીને પોતે પોઝિટિવ થવાની માહિતી આપી હતી. તેમને અંબાલા છાવણીની નાગરિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  

આરોગ્યપ્રધાને ટ્વીટમાં કહ્યું હતું કે હું કોરોના પોઝિટિવ થઈ ગયો છું. છેલ્લા કેટલાક દિવસથી મારા સંપર્કમાં જે લોકો આવ્યા છે, તેઓ પણ કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવે અને પૂરી સાવધાની રાખે. તેમણે કોરોના વેક્સિનના ટ્રાયલ દરમ્યાન વેક્સિનનો ડોઝ લીધો હતો. જોકે ડોક્ટરોનું કહેવું હતું કે અનિલ વિજ કોરોના પોઝિટવ થવાથી વેક્સિનથી કોઈ લેવા-દેવા નથી. વેક્સિન લીધા પછી વ્યક્તિમાં 42 દિવસ પછી એન્ટિ બોડી બને છે. આવામાં કોરોના વાઇરસથી વિજ પોઝિટિવ થવાથી વેક્સિન સાથે કોઈ કનેક્શન નથી.

હરિયાણામાં અનિલ વિજ પહેલાં રાજ્યના મુખ્ય પ્રધાન મનેહરલાલ, હરિયાણા વિધાનસભાના સ્પીકર જ્ઞાનચંદ ગુપ્તા સહિત અનેક પ્રધાનો અને વિધાનસભ્યોને કોરોના સંક્રમણ થઈ ચૂક્યું છે.

અનિલ વિજ 20 નવેમ્બરે કોરોનાની રસી લાગ્યા પછી અચાનક તેમના શરીરમાં થાક અનુભવતા હતા. ડોક્ટરોએ તેમની તપાસ કર્યા પછી રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને છાવણીની નાગરિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.