ફરમાની નાઝે કટ્ટરપંથીઓને જડબાતોડ જવાબ આપ્યો

નવી દિલ્હીઃ દેશમાં કટ્ટરપંથીઓએ માઝા મૂકી છે. પહેલાં નૂપુર શર્માને લઈને હંગામો કરનારા કટ્ટરપંથીઓ હવે હર-હર શંભુની ગાયિકાની પાછળ હાથ ધોઈને પડી ગયા છે. ફેમસ યુટ્યુબ સિંગર ફરમાની નાઝે ગાયેલા શિવ ભજન હર..હર શંભુ ગીત પર વિવાદ થઈ રહ્યો છે. તેનો હર…હર શંભુ વિડિયો યુટ્યુબ પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે, પણ કટ્ટરપંથી મુસલમાનોને હર…હર શંભુ ગમી નથી રહ્યું. કેટલાક કટ્ટરપંથી મુલ્લાઓએ આ પ્રકારનાં ગીતો મુસ્લિમ યુવતીએ નહીં ગાવાં જોઈએ, એ ઇસ્લામની વિરુદ્ધ છે- એમ કહ્યું છે. જોકે ફરમાની નાઝ એક મધ્યમવર્ગીય પ્રોગ્રેસિવ મુસ્લિમ છે. એટલે કટ્ટરપંથી તેની સામે ફતવા જારી કરવા માંડ્યા છે.

વાસ્તવમાં હર…હર શંભો વિડિયોમાં ફરમાની નાઝે ગાયું છે. તે એક મુસલમાન છે. બસ આ જ તેનો વાંક છે. જેથી કટ્ટરપંથી મુલ્લાઓ તેની પાછળ પડી ગયા છે. જોકે ફરમાની નાઝે એ મુસ્લિમ ઉલેમાઓ પર પલટવાર કર્યો છે. તેણે કહ્યું છે કે તેના પતિએ તલાક આપ્યા વિના બીજાં લગ્ન કરી લીધાં છે, હું બાળકોના પાલનપોષણ માટે ગીત ગાઉં છું. તેણે કહ્યું હતું કે આજે યુવતીઓ આત્મનિર્ભર થઈને સમાજમાં જીવી રહી છે. તે પોતાના ટેલેન્ટના દમે આગળ વધી રહી છે.

ફરમાનીએ કહ્યું હતું કે તે એક કલાકાર છે. સંગીતનો કોઈ ધર્મ નથી હોતો. ફરમાનીની માતાએ કહ્યું હતું કે કાવંડ યાત્રામાં પુત્રીએ ગીત ગાયું હતું.