લોકડાઉન વચ્ચે પોલિસીધારકો માટે આવ્યા મોટા સમાચાર

નવી દિલ્હી: કોરોના વાઈરસના લીધે કેટલાંય દેશોના અર્થતંત્ર પર ઊડી અસર પડી છે. ભારત પણ આમાંથી બાકાત નથી. કેન્દ્ર સરકાર પ્રજાને રાહત આપવા માટે શકય દરેક પગલાં ઉઠાવી રહ્યું છે. હવે લોકડાઉનના પગલે નાણામંત્રાલયે તમામ પોલિસીધારકોને રાહત આપતા વીમા પ્રિમિયમ ભરવા અથવા પોલિસી રિન્યુ કરવામાં મોટી રાહત આપી છે.

નાણામંત્રાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે. જે પોલિસીધારકોના સ્વાસ્થ્ય અને મોટર (થર્ડ પાર્ટી) વીમા પોલિસી રિન્યુ નથી થઈ શકી તેમની મુશ્કેલીઓને ઓછી કરતા સરકારે એક નોટિફિકેશન જાહેર કર્યું છે. તેના અનુસાર તમામ પોલિસીધારક 15 મે કે તેની પહેલા ચૂકવણી કરીને પોતાની પૉલિસી રિન્યુ કરાવી શકે છે.

એસોચેમનું કહેવું છે કે લોકડાઉનાન લીધે અર્થતંત્રને દરરોજનું 26000 કરોડનું નુકસાન થતુ હોવાની આશંકા છે. હવે ઉદ્યોગજગતની માંગણી છે કે સરકાર બિઝનેસને થયેલા લાખો કરોડો રૂપિયાની નુકસાની માટે એક રાહત અને ઇકોનોમિક સ્ટિમ્યુલસ પેકેજ આપે.

એસોચેમના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.નિરંજન હીરાનંદાનીએ એક નિવેદનમાં કહ્યું કે લોકડાઉનના લીધે અર્થતંત્રને દરરોજ 26000 કરોડની નુકસાનીની આશંકા છે. એવામાં લોકડાઉનથી છૂટ એક યોગ્ય નિર્ણય છે. કંસ્ટ્રકશન વર્કર્સને સાઇટ પર રાખવામાં મુશ્કેલી પડી રહી છે. ઉદ્યોગજગતની માંગણી છે કે તેને જે નુકસાન થયું છે તેની ભરપાઇ માટે સરકાર એક રાહત પેકેજ આપે. ફિક્કીના અધ્યક્ષ ડૉ.સંગીતા રેડ્ડીએ એક નિવેદનમાં કહ્યું કે હવે એ જરૂરી હશે કે સરકાર એક રાહત અને એક આર્થિક પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરે તેનાથી રોજગાર અને વેપારની સુરક્ષાને પુન:સ્થાપિત કરી શકાય