કોરોના સંકટઃ સરકારી અમલદારોને તાલીમ માટે વિદેશમાં મોકલવાનું બંધ

નવી દિલ્હીઃ કેન્દ્રીય પર્સોનેલ મંત્રાલયે કહ્યું છે કે કોરોના વાઇરસ વૈશ્વિક રોગચાળાને કારણે સરકાર દ્વારા લેવામાં આવેલાં સલામતીનાં પગલાં અને ખર્ચમાં કાપ મૂકવાના હેતુથી ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન સરકારી અમલદારોને તાલીમ-પ્રશિક્ષણ માટે વિદેશમાં મોકલવામાં નહીં આવે. કર્મચારીઓ અને તાલીમ વિભાગ, સંબંધિત મંત્રાલયોના કેડર નિયંત્રક અને કેન્દ્રીય તાલીમ સંસ્થાના પૂર્ણ તાલીમ કાર્યક્રમ હેઠળ વિદેશમાં તાલીમનું આયોજન કરવામાં આવે છે.

મંત્રાલયે નિર્ણય લીધો

મંત્રાલયે હાલમાં જ એક આદેશમાં કહ્યું હતું કે કોવિડ-19 વૈશ્વિક રોગચાળાનાં કારણોસર અને સુરક્ષા પગલાં તથા ખર્ચમાં કાપ કરવાને ધ્યાનમાં રાખતાં બધી કેડર નિયંત્રણ સત્તાવાળા અને કેન્દ્રીય તાલીમ સંસ્થાને સૂચિત કરવામાં આવે છે કે ચાલુ નાણાકીય વર્ષ 2020-21 દરમ્યાન વિદેશમાં કોઈ તાલીમ શિક્ષણ નહીં યોજાય. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો અસાધારણ પરિસ્થિતિઓમાં કોઈ વિદેશી તાલીમ કરાવવી જરૂરી લાગશે તો પહેલાં DoPT પાસેથી મંજૂરી લેવી પડશે.

બજેટમાં રૂ. 243.45 કરોડની ફાળવણી

નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા નાણાં વર્ષ 2020-21ના બજેટ અનુસાર પર્સોનેલ મંત્રાલયના કર્મચારીઓને સ્થાનિક અને વિદેશી તાલીમ તથા આવશ્યક પાયાના માળખા માટે નાણાં વર્ષમાં કુલ રૂ. 238.45 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.