દિલ્હી બની ગેસ ચેમ્બરઃ AQI 392ના ખરાબ સ્તરે

નવી દિલ્હીઃ દિલ્હીમાં પ્રદૂષણનો સ્તર સતત વધી રહ્યો છે. દિલ્હીની હવા ઝેરીલી થતી જઈ રહી છે.પ્રદૂષણના વધતા સ્તરની અસરે લોકોના આરોગ્ય પર પ્રતિકૂળ અસર પડી રહી છે. આજે દિલ્હીની AQI 392ની નજીક પહોંચ્યો છે. દિલ્હીના વિસ્તારો જેવા કે અલીપુરમાં 343, આનંદ વિહાર 392, બવાના વિહાર 364, વજીરપુર 353 અને વિવેક વિહાર 363 છે.

રાજ્ય સરકાર વધતા પ્રદૂષણને કારણે અનેક જગ્યાએ પાણીનો છટંકાવ કરાવી રહી છે. દિલ્હીમાં DTC અને મેટ્રોની ફ્રીકવન્સી વધારી દીધી હતી. સરકારે ખાનગી વાહનોના ઉપયોગ ઓછો કરવા માટે પાર્કિંગ શૂલ્ક પણ બે ગણો કર્યો હતો.દિલ્હી-NCRમાં હવાની ગુણવત્તામાં ઘટાડો થયો હતો. એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 300 પોઈન્ટને વટાવી ગયો. સવારે આકાશમાં ધુમ્મસ છવાયું હતું અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. બીજી તરફ યમુના નદીમાં સતત બીજા દિવસે ઝેરી ફીણ જોવા મળી રહ્યું છે.

દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર પ્રદૂષણની અસર થવા લાગી છે. ધીમે ધીમે હવા ઝેરી બની રહી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, પંજાબ અને હરિયાણા સરકારને પ્રદૂષણ અંગે ફરી ઠપકો આપ્યો છે અને કહ્યું છે કે પરાળ બાળવા માટે દંડ સંબંધિત CAQM કાયદાની જોગવાઈઓ લાગુ કરવામાં આવી નથી.

કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ જણાવ્યું હતું કે CAQM એક્ટની કલમ 15, જે પરાળ બાળવા માટે સજાની જોગવાઈ કરે છે, તેને અસરકારક રીતે લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે 10 દિવસમાં જરૂરી નિયમો જારી કરવામાં આવશે. આ ઉપરાંત, સર્વોચ્ચ અદાલતે પંજાબ અને હરિયાણાની સરકારોની પણ કડક ટીકા કરી હતી કે તેઓ પરાળ બાળવા બદલ લોકો સામે કોઈ પગલાં નથી લેતા. કોર્ટે કહ્યું કે જો આ સરકારો ખરેખર કાયદો લાગુ કરવામાં રસ ધરાવતી હોત તો ઓછામાં ઓછો એક મુકદ્દમો થયો હોત.