કોરોના સંક્રમિત ફારુક અબદુલ્લા હોસ્પિટલમાં દાખલ થયા

શ્રીનગરઃ કોવિડ-19થી સંક્રમિત થયેલા નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબદુલ્લાને સલામતીરૂપે શનિવારે એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફારુકના પુત્ર ઓમર અબદુલ્લાએ ટ્વિટર પર કહ્યું હતું કે તેમના પિતાને ડોક્ટરોની સલાહ પછી તકેદારીરૂપે શ્રીનગરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે લોકોએ બતાવેલા પ્રેમ માટે અમારો પરિવાર પ્રત્યેકનો આભારી છે.
નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબદુલ્લા (85) મંગળવારે સંક્રમિત થયા હતા. જોકે ફારુકે બીજી માર્ચે કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો હતો.

કોરોના રસીના પહેલા ડોઝના ચાર સપ્તાહ પછી ડો. ફારુક અબદુલ્લા કોરોના સંક્રમિત થયા હતા. જેથી ઓમર અબદુલ્લા સહિત સંપૂર્ણ પરિવાર હોમ ક્વોરોન્ટીન થયો હતો.

ઓમર અબદુલ્લાના પિતા ડો. ફારુક અબદુલ્લા વિશેના ટ્વીટને પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રતિક્રિયા આપતાં તેમના આરોગ્યમાં જલદી સુધારાની પ્રાર્થના કરી હતી. તેમણે પણ ટ્વીટ કર્યું હતું. જેનો જવાબ ઓમર અબદુલ્લાએ વળતો ટ્વીટ કરીને આપ્યો હતો.