‘આખા દેશની જનતાને કોરોના-રસી આપવામાં નહીં આવે’

નવી દિલ્હીઃ કોવિડ-19ની વેક્સિન સમગ્ર દેશની વસતિને લગાવવાની વાત ક્યારેય નથી કરવામાં આવી, એમ કેન્દ્ર સરકારે કહ્યું હતું. કોવિડ-19ના રસીકરણનો હેતુ વાઇરલ ટ્રાન્સમિશનની શૃંખલાને તોડવાનો છે, એમ ICMRના ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે પત્રકારો સાથે વાતચીતમાં એક સવાલના જવાબમાં કહ્યું હતું. અમારો ઉદ્દેશ વાઇરસના ટ્રાન્સમિશનની શૃંખલાને તોડવાનો છે. જો અમે મોટી સંખ્યાના લોકોને રસીકરણ કરીને ટ્રાન્સમિશનની ચેઇનને તોડવામાં સફળ રહીશું તો દેશની વસતિને રસીકરણ આપવાની જરૂર નથી.

માસ્કની ભૂમિકા બહુ અગત્યની છે અને રસીકરણ પછી પણ માસ્ક પહેરવાની આવશ્યકતા રહેશે, કેમ કે અમે વસતિના એક નાના ગ્રુપથી શરૂ કરવાના છીએ અને એટલા માટે માસ્કનો ઉપયોગ ચાલુ રાખવો પડશે, જેથી વાઇરલ ટ્રાન્સમિશનની ચેઇન તોડવામાં મદદ મળી શકે, એમ ભાર્ગવે કહ્યું હતું.

દેશની સંપૂર્ણ વસતિને કોવિડ-19ની વેક્સિનની સાથે રસીકરણની વાત ક્યારેય કરવામાં નથી આવી, એમ કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકારે દેશમાં રસીકરણ કરવાની વાત ક્યારેય કરી નથી. એ મહત્ત્વનું છે કે આપણે માત્ર વૈજ્ઞાનિક મુદ્દાઓ પર ચર્ચા કરીએ અને એનું વિશ્લેષણ કરીએ.