કોરોના સામેના દેશવ્યાપી લોકડાઉનને એક વર્ષ પૂર્ણ

નવી દિલ્હીઃ ચીનના વુહાનથી SARS-CoV-2 વાઇરસ આવ્યા પછી દેશમાં લોકડાઉનને એક વર્ષ પૂર્ણ થયું છે. જોકે એક વર્ષમાં વિશ્વના સૌથી મોટા લોકતંત્રએ કોરોના સામે રસીકરણ શરૂ કરી દીધું છે અને દેશવાસીઓને રોગચાળાથી બચાવવા માટે ભગીરથ પ્રયાસ કરી રહ્યું છે. વડા પ્રધાન મોદી દ્વારા નિર્ધારિત રસીકરણના લક્ષ્યને પૂરું કરવા માટે દેશ સંઘર્ષ કરી રહ્યો છે, જેમાં જુલાઈના અંત સુધી 30 કરોડ નાગરિકોને રસી લગાવવાનું લક્ષ્ય છે. નવા નિયમ સાથે 45 વર્ષથી વધુ વયના બધા લોકોને એક એપ્રિલથી રસી લાગવાનું શરૂ થશે. જોકે દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ ઝુંબેશ શરૂ થઈ છે. દેશમાં અત્યાર સુધી દેશમાં અત્યાર સુધીમાં 5,31,45,709 લાખ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે.વડા પ્રધાન મોદીએ 25 માર્ચ, 2020એ સખત લોકડાઉનની જાહેરાત કરી, ત્યારે લાખો ગરીબ પ્રવાસીઓએ રાતોરાત રોજગાર-ધંધા છોડીને શહેરોથી મોટા પાયે ગામો તરફ  પલાયન થવા મજબૂર થવું પડ્યું હતું. એક વર્ષ પછી ધીમે-ધીમે આકરા પ્રતિબંધોમાં મંદીગ્રસ્ત અર્થતંત્રને બહાર નીકળવા માટે ઢીલ આપવામાં આવી હતી, કેમ કે ફેબ્રુઆરી સુધી કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો, પણ એ પછી કોરોના કેસોમાં ફરી એક વાર સતત વધારો થઈ રહ્યો છે.

દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,17,87,534 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,60,692 લોકોનાં મોત થયાં છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,95,192 પહોંચી છે.