મંદીને લઈને ભાજપના સાંસદે આપ્યું ચોંકાવનારું નિવેદન

નવી દિલ્હીઃ દુનિયાભરમાં મંદીની ચર્ચાઓની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સાંસદ વીરેન્દ્ર સિંહે ચોંકાવનારું નિવેદન  આપ્યું છે. ઉત્તર પ્રદેશના બલિયાથી સાંસદ વીરેન્દ્ર સિંદે કહ્યું કે જો ખરેખર મંદી હોત તો લોકો પેન્ટની જગ્યાએ ધોતી-કૂર્તા પહેરવા લાગત.

ભાજપ સાંસદે કહ્યું કે દુનિયા અને દિલ્હીમાં મંદીની ચર્ચા થઇ રહી છે. જો ખરેખર મંદી હોત તો અમે કુર્તા-ધોતી પહેરવા લાગ્યા હોત ના કે કોટ-જેકેટ પહેરીને આવત. જો હકીકતમાં મંદી હોય તો તો અમે કપડા, પેન્ટ-પાયજામા ખરીદી શકત નહીં.

આની પહેલાં મોદી સરકારમાં કાયદા મંત્રાલયની જવાબદારી સંભાળનાર રવિશંકર પ્રસાદે ગયા વર્ષે ઑક્ટોબરમાં એક પત્રકાર પરિષદમાં બેરોજગારી અને અર્થતંત્રમાં સુસ્તીને સંપૂર્ણપણે નકારી દીધી હતી. તેમણે અર્થતંત્રમાં સુસ્તીનો ઇન્કાર કરતાં કહ્યું કે મને ફિ્લ્મો ખૂબ ગમે છે. ફિલ્મો મોટો વેપાર કરી રહી છે. 2 ઑક્ટોબરના રોજ 3 ફિલ્મો રીલીઝ થઇ છે. ફિલ્મ ઉદ્યોગના નિષ્ણાતોએ કહ્યું કે નેશનલ હોલીડેના દિવસે 3 ફિલ્મોએ 120 કરોડ રૂપિયાનો વેપાર કર્યો છે.

હવે જ્યારે દેશમાં અર્થતંત્ર સાઉન્ડ છે ત્યારે તો 120 કરોડ રૂપિયાનું રિટર્ન એક દિવસમાં આવી રહ્યું છે.આ નિવેદન પર વિપક્ષી દળોની તરફથી પ્રશ્ન ઉઠ્યા બાદ રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે તેઓ સંવેદનશીલ વ્યક્તિ છે. આથી તેઓ મંદીને ફિલ્મોની કમાણી સાથે જોડીને નિવેદન પાછું લે છે.