નિકિતાની હત્યા કરવાનું આરોપી તૌસીફે કારણ જણાવ્યું

ફરિદાબાદ (હરિયાણા): રાજ્યના બલ્લભગઢ નગરમાં ‘લવ જિહાદ’ની ઘટનામાં 21 વર્ષની કોલેજિયન વિદ્યાર્થિનીને ઠાર મારવાની ગયા સોમવારે બનેલી ઘટનાએ આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. નિકિતા તોમર નામની છોકરીએ એક કારમાં બેસવાની ના પાડી દીધા બાદ એનાં એકતરફી પ્રેમીએ એને ધોળે દિવસે ઠાર મારી હતી. એના હત્યારાનું નામ તૌસીફ છે. પોલીસે તૌસીફ અને એના સાથીની ધરપકડ કરી લીધી છે.

હવે પૂછપરછ દરમિયાન તૌસીફે પોતે નિકિતાને શા માટે ઠાર મારી એનું કારણ જણાવ્યું હોવાનો અહેવાલ છે.

પોલીસે મેવાત વિસ્તારમાંથી તૌસીફ અને એના સાગરિત રેહાનની ધરપકડ કરી છે.

પૂછપરછ દરમિયાન તૌસીફે જણાવ્યું હતું કે નિકિતા કોઈક બીજાને પરણવાની યોજના કરતી હતી એટલે તેણે એને ઠાર મારવાનું નક્કી કર્યું હતું અને ગયા સોમવારે ઠાર મારી દીધી હતી.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, નિકિતા અને તૌસીફે રવિવારે ચર્ચા કરી હતી.

પોલીસે તૌસીફ અને રેહાનને ફરિદાબાદમાં એક કોર્ટમાં હાજર કર્યા હતા અને કોર્ટે બંનેને બે-દિવસ માટે પોલીસ રીમાન્ડ પર મોકલી દીધા છે.

તૌસીફના પરિવારના બહુ મજબૂત રાજકીય સંપર્કો છે. એટલે જ તે નિકિતાને ઠાર મારીને ભાગી ગયો હતો.

નિકિતાનાં પિતાનું કહેવું છે કે તૌસીફનો પરિવાર ઘણી રાજકીય વગ ધરાવે છે. એના દાદા ખુર્શીદ એહમદ કોંગ્રેસના મેવાદમાંના ભૂતપૂર્વ વિધાનસભ્ય છે. જ્યારે ખુર્શીદ એહમદના ભાઈ હરિયાણામાં નાણાં પ્રધાન છે. તૌસીફના કાકા આફતાબ એહમદ નુહ શહેરમાં કોંગ્રેસના વિધાનસભ્ય છે.

નિકિતાનાં પરિવારના એક સભ્યે કહ્યું કે 2018માં તૌસીફે નિકિતાનું અપહરણ કર્યું હતું. એને પગલે નિકિતાનાં પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તૌસીફની ધરપડ કરી હતી. પરંતુ તૌસીફના પરિવારે ત્યારે માફી માગી હતી અને સમાધાન કરી લીધું હતું.