યૂક્રેનમાં ફસાયેલાં ભારતીયોની મદદે એર ઈન્ડિયા

નવી દિલ્હીઃ રશિયા સાથે ઊભી થયેલી તંગદિલીને કારણે યૂક્રેનમાં કેટલાંક ભારતીય નાગરિકો ફસાઈ ગયાં છે. ભારત સરકારે એમને કહ્યું છે કે તેઓ શાંત રહે, કારણ કે સરકાર એમને ઉગારવા માટે અનેક ફ્લાઈટ્સ વધારી રહી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, એર ઈન્ડિયા, જે હવે ભારત સરકારની માલિકીની નથી રહી અને ખાનગી ક્ષેત્રના ટાટા ગ્રુપની થઈ ગઈ છે, તે આમાં મદદરૂપ થઈ શકે છે. તે યૂક્રેન માટે વિશેષ ફ્લાઈટ્સ મોકલે એવી ધારણા છે.

યૂક્રેનની સરહદ પર સૈનિકો ખડકવામાં આવ્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે એક સંદેશો બહાર પાડીને કહ્યું છે કે યૂક્રેનમાં રહેતા કે કામ પર ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ તથા અન્યોએ યૂક્રેનમાંથી થોડાક સમય માટે નીકળી જવાનું છે. ભારત સરકારે એ નાગરિકોને મદદરૂપ થવા માટે એક કન્ટ્રોલ રૂમની રચના પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે કોરોનાવાઈરસ ચેપી બીમારી ફેલાયા બાદ 2020ના માર્ચ મહિનાથી શેડ્યૂલ્ડ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને સસ્પેન્ડ કરી દીધી છે. પરંતુ, યૂક્રેન એવા 35 દેશોમાંનો એક છે જે ભારત સાથે એર-બબલ સમજૂતી ધરાવે છે. કોઈ ભારતીય એરલાઈન યૂક્રેનના પાટનગર શહેર કાઈવમાં વિમાન મોકલી શકતી નથી, પરંતુ યૂક્રેન ઈન્ટરનેશનલ એરલાઈન્સ હાલ અઠવાડિયામાં એક વાર નોન-સ્ટોપ ફ્લાઈટ ઓપરેટ કરે છે. ભારતીયોને ઉગારવા માટે આ ફ્રીક્વન્સી ડબલ કરાય એવી ધારણા છે.