આઝાદના ટેકામાં 5,000 કાર્યકરો કોંગ્રેસ છોડવાની તૈયારીમાં

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના અગ્રગણ્ય નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપતાં રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. તેઓ કોંગ્રેસ પાર્ટીના ખૂબ જૂના સભ્યોમાંના એક છે. એમણે ગાંધી પરિવાર વિરુદ્ધ અનેક આક્ષેપો પણ કર્યા છે.

હવે એવો અહેવાલ છે કે આઝાદના ટેકામાં દેશભરમાં એમના 5,000 જેટલા સમર્થકો પણ કોંગ્રેસ પાર્ટી છોડી દેવાની તૈયારીમાં છે. આઝાદ જમ્મુ અને કશ્મીરમાં પોતાનો રાજકીય પક્ષ સ્થાપવાની પ્રક્રિયામાં છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વર્ષના અંતભાગમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને જમ્મુ-કશ્મીરમાં પણ 2023માં ફરી રાજ્યનો દરજ્જો આપી દેવાયા બાદ વિધાનસભાની ચૂંટણી યોજાશે એવી ધારણા છે તેવા સમયે આઝાદનું રાજીનામું કોંગ્રેસ માટે મોટા ફટકા સમાન ગણાય છે.