ઉડતા વિમાનમાં ભારતીય પ્રવાસીઓ વચ્ચે થઈ મારામારી

કોલકાતાઃ થાઈલેન્ડની રાજધાની બેંગકોકથી કોલકાતા તરફ આવી રહેલી થાઈ સ્માઈલ એરવેઝની એક ફ્લાઈટમાં મામુલી કારણસર પ્રવાસીઓ વચ્ચે જોરદાર મારામારી થવાની ઘટના બની છે. ઝઘડાખોર પ્રવાસીઓને છોડાવવાનો ફ્લાઈટ એટેન્ડન્ટ્સે પ્રયાસ કર્યો હતો તે છતાં મારામારી ચાલુ રહી હતી. વિમાનના જ એક સહ-પ્રવાસીએ ઉતારેલો વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે.

વિમાનમાં ભારતીય પ્રવાસીઓ મોટી સંખ્યામાં પ્રવાસ કરતા હતા. એમની વચ્ચે કોઈક મામુલી વાતે ઝઘડો થયો હતો. એ પછી ગાળાગાળી થયા બાદ મારામારી થઈ હતી. કેબિન ક્રૂ તથા સહ-પ્રવાસીઓએ પણ મારામારી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે છતાં આરોપીએ કોઈનું સાંભળ્યું નહોતું. થાઈ સ્માઈલ એરવેઝે આ બાબત અંગે ખુલાસો કર્યો છે કે આરોપી પ્રવાસી સામે ગુનો નોંધવામાં આવશે.

સોશ્યલ મીડિયા ઉપર પણ લોકોએ આ વીડિયો જોઈને ઘણી પ્રતિક્રિયા આપી છે. કોઈકે ફ્લાઈટ એટેન્ડન્ટનો પક્ષ લીધો  છે તો કોઈકે કેબિન ક્રૂના વ્યવહારની ટીકા કરી છે. પરંતુ, વિમાન આકાશમાં ઉડતું હોય ત્યારે આ રીતે મારામારી થાય તો બીજા પ્રવાસીઓના જાન પર જોખમ ઊભું થાય એવું પણ ઘણાએ કહ્યું છે.