કોરોનાના 9987 નવા કેસ, 266નાં મોત

નવી દિલ્હીઃ અનલોક-1ની વચ્ચે દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસના દર્દીઓની કુલ સંખ્યા 2,66,598 થઈ ગઈ છે અને આ વાઇરસને લીધે અત્યાર સુધી 7466 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 9987 નવા કેસ સામે આવ્યા છે અને 266 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં સૌથી વધુ નવા કેસ સામે આવ્યા છે. જોકે રાહતની વાત એ છે કે 1,29,215 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા છે. રિકવરી રેટ 48.46 ટકાએ પહોંચ્યો છે.

વૈશ્વિક સ્તરે હાલત ચિંતાજનકઃ WHO

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના પ્રમુખ ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેયેસસે કહ્યું હતું કે કોરોના વાઇરસને કારણે વૈશ્વિક સ્તરે સ્થિતિ ચિંતાજનક થતી જાય છે. એની સાથે WHOએ પણ ચેતવણી આપી હતી કે આનાથી વિશ્વભરમાં અસંતોષ ઊભો થાય એવી શક્યતા છે. જિનિવામાં વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દ્વારા તેમણે કહ્યું હતું કે યુરોપની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં વિશ્વભરમાં 1,36,000થી વધુ નવા કેસ નોંધાયા છે. જે એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ છે. આ કેસોમાં સૌથી વધુ કેસો અમેરિકામાં અને દક્ષિણ એશિયામાંથી સામે આવ્યા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.