કોરોનાના 16,764 નવા કેસ, 220નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં ઓમિક્રોનના જોખમ વચ્ચે કોરોના વાઇરસના કેસોના વધારાએ ચિંતા વધારી દીધી છે, જેથી કેન્દ્રએ આઠ રાજ્યોને તત્કાળ પગલાં ભરવા નિર્દેશ આપ્યો છે. છેલ્લા 24 કલાકમાં 16,764  નવા કેસ સામે આવ્યા છે, જે ગઈ કાલની તુલનાએ 27.4 ટકા વધુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 220  લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,48,38,804 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,81,080 લોકોનાં મોત થયાં છે.

દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 1270એ પહોંચી છે, જેમાં 374 દર્દીઓ ઠીક થઈ ચૂક્યા છે. ઓમિક્રોનના કેસો 23 રાજ્યોમાં નોંધાયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 450 નોંધાયા છે અને બીજા ક્રમે દિલ્હીમાં 320 કેસો છે. દિલ્હીમાં યલો એલર્ટ લાગુ કરવામાં આવ્યું છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,42,66,290 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 7585 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 91,361એ પહોંચી છે, જે 579 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.38 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.38 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 12,50,837 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 67.77 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 144.54 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,44,54,16,714 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 66,65,290 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.