મુંબઈમાં સાર્વજનિક ગણેશોત્સવ સાદાઈથી ઉજવવાનો નિર્ણય લેવાયો

મુંબઈઃ હજી તો મે મહિનાની શરૂઆત થઈ છે, તે છતાં આ વર્ષે સાર્વજનિક ગણેશોત્સવની સાદાઈપૂર્વક ઉજવણી કરવાનો નિર્ણય અત્યારથી જ લઈ લેવામાં આવ્યો છે, કારણ કે દર વર્ષે મે મહિનાની આખરથી ગણેશોત્સવની તૈયારીઓનો આરંભ કરાતો હોય છે.

આ વર્ષે મુંબઈ સહિત મહારાષ્ટ્ર રાજ્ય, ભારત અને સમગ્ર દુનિયામાં કોરોના વાઈરસની જીવલેણ બીમારીએ હાહાકાર મચાવી દીધો છે. સેંકડો, હજારો, લાખો મરણ થયા છે ત્યારે કોઈ પણ પ્રકારની ઉજવણી આ વર્ષે ફિક્કી બની રહેવાની શક્યતા છે.

બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ મંડળના પ્રમુખ નરેશ દહિબાવકરે એક મહત્ત્વની અપીલ શહેરના તમામ સાર્વજનિક મંડળોને કરી છે કે આ વર્ષે ગણેશોત્સવ અત્યંત સાદાઈથી ઉજવવાનો છે.

આ માટે મંડળ પ્રમુખે ભૂતકાળનું ઉદાહરણ આપતા કહ્યું કે દાયકાઓ પહેલાં પ્લેગની બીમારી ફાટી નીકળી હતી ત્યારે પણ ગણેશોત્સવ સાદાઈથી ઊજવવામાં આવ્યો હતો.

મંડળ પ્રમુખ દહિબાવકરની આ અપીલને બહુમતી પ્રસિદ્ધ ગણેશોત્સવ મંડળોએ સમર્થન વ્યક્ત કર્યું છે.

મંડળ પ્રમુખે કહ્યું કે સાર્વજનિક ગણેશોત્સવ વખતે ભક્તો-શ્રદ્ધાળુઓની અપાર ભીડ થતી હોય છે, પરંતુ આ વખતે ફેલાયેલા કોરોના વાઈરસનું જોખમ આગામી કેટલાક મહિનાઓ સુધી પણ રહેશે. પરિણામે ભાવિકો તથા ગણેશમંડળોના કાર્યકર્તાઓના જાન જોખમમાં ન આવી પડે એ હેતુથી આ વખતનો સાર્વજનિક ગણેશોત્સવ એકદમ સાદાઈથી ઉજવવાનો રહેશે.

કોરોના બીમારીને કારણે અનેક સપ્તાહો સુધી લોકડાઉન લાગુ કરાતા તમામ પ્રકારની ધંધાકીય પ્રવૃત્તિઓ બંધ છે. લોકડાઉનને કારણે આર્થિક પ્રવૃત્તિઓને કારમો ફટકો પડ્યો છે. એને ધ્યાનમાં રાખીને આ વખતે ભગવાન ગણપતિની મૂર્તિઓ તેમજ સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની સજાવટમાં બિનજરૂરી ખર્ચો અને ભપકો ટાળે એવી મંડળમાલિકો-સંચાલકોને અપીલ કરવામાં આવી છે.